લલિત વસોયા સહિત 8 પાસ કન્વીનરોને કોંગ્રેસ આપશે ટિકિટ?
હાર્દિકની નજીક ગણાતા પાસ કન્વીનરનું રાજીનામુંકોંગ્રેસમાંથી ધોરાજી પરથી લડી શકે છે ચૂંટણીઆ અંગે વધુ વાંચો અહીં...
કોંગ્રેસ અને પાસ વચ્ચે અનામત મુદ્દે કોઇ આખરી નિર્ણય લેવાયો નથી કે તે અંગે જાહેરાત પણ થઇ નથી. એ પહેલા જ આ સમગ્ર મામલે એક નવો વળાંક આવતો દેખાઇ રહ્યો છે. પાસના સભ્ય અને હાર્દિક પટેલના નજીક ગણાતા લલિત વસોયા પાસમાંથી રાજીનામું આપી ધોરાજી બેઠક પરથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. તેઓ કોંગ્રેસ તરફથી સોમવારે સવારે ઉમેદવારી નોંધાવવાના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી કે ના તો લલિત વસોયા કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત થઇ છે.
8 પાસ કન્વીનરોને કોંગ્રેસ આપશે ટિકિટ
તાજેતરની માહિતી અનુસાર કોંગ્રેસ પાસને મનાવવામાં સફળ રહી છે અને લલિત વસોયા ઉપરાંત અન્ય સાત કન્વીનરોને પણ કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરાજી બેઠક પરથી લલિત વસોયા, બોટાદ પરથી દીલિપ સાબવા, મોરબી પરથી મનોજ પનારા, સાબરમતી પરથી અતુલ પટેલ, નિકોલ પરથી ગીતા પટેલ, ઠક્કરબાપાનગર પરથી જયેશ પટેલ, પાટણ પરથી કીરિટ પટેલ અને ગોધરા બેઠક પરથી ઉદય પટેલને ટિકિટ મળવાની શક્યતા છે.
પાટીદાર અનામતનું શું?
પાટીદાર અનામતના મુદ્દે પાસ અને કોંગ્રેસ વચ્ચે વિવિધ બેઠકો બાદ છેલ્લા બે દિવસથી વાતો અટકી ગઇ છે. દિનેશ બાંભણિયા સહિતના પાસ કોર કમિટિના સભ્યો શુક્રવારે કોંગ્રેસ સાથે મુલાકાત કરવા અને આ અંગે આખરી નિર્ણય લેવા દિલ્હી ગયા હતા. પરંતુ આખો દિવસ રાહ જોયા છતાં કોંગ્રેસ તરફથી બેઠક માટે સમય ન મળતા તેઓ ગુસ્સે થયા હતા અને દિનેશ બાંભણિયાએ કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. એ પછી શનિવારે અનામતના મુદ્દે પાસ અને કોંગ્રેસને બંધારણીય સૂચન કરનાર કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ વડોદરા આવ્યા હતા. આ દરમિયાન અનામતનો મુદ્દો ઉકલે એવી શક્યતા હતી. પાસના સભ્યો પણ વડોદરા પહોંચ્યા હતા. આ અંગે લિલત વસોયાએ કહ્યું હતું કે, શુક્રવારે પાસ અને કોંગ્રેસ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ રહ્યો હતો, પરંતુ આજે કોંગ્રેસ સાથે બેઠક થશે એવી અમને આશા છે. જો કે, શનિવારે કપિલ સિબ્બલ અને પાસ વચ્ચે કોઇ બેઠક થઇ નહોતી. ત્યાર બાદ અનામત મુદ્દે કોંગ્રેસ તથા પાસની શું વાત થઇ, શું નિર્ણય લેવાયો એ અંગે કોઇ માહિતી કોંગ્રેસ કે પાસ તરફથી આપવામાં આવી નથી.