રાધનપુરમાં અલ્પેશને ટક્કર આપશે BJPના 2 ધૂરંધરો!
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને ટક્કર આપશે ભાજપના બે ધૂરંધરોભાવસિંહ રાઠોડ આપી શકે ભાજપને સમર્થનઆ અંગે વધુ વાંચો અહીં...
પાટણની રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પરથી લવિંગજી સોલંકીને ટિકિટ આપવમાં આવી છે, તો કોંગ્રેસ દ્વારા આ બેઠક અલ્પેશ ઠાકોરને ફાળવવામાં આવી છે. એખ મહિના પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર નેતા અલ્પેશ ઠાકોરને ટક્કર આપવાની ભાજપે પણ પૂરી તૈયારી આદરી છે. પાટણની આ બેઠક પર ભાજપ મોટેભાગે જીતે છે, જ્યારે કોંગ્રેસને એક પણ વાર જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. પરંતુ આ વખતે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી, વિજયની દિશમાં એક ડગલું આગળ વધાર્યું છે. સોમવારે અલ્પેશ ઠાકોરે આ બેઠક પરથી ઉમેદવારીનું પત્ર ભર્યું હતું.
રાધનપુર વિસ્તારમાં બહોળા પ્રમાણમાં ઠાકોર સમાજના મતદારો છે. ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી ઠકોર સમાજના અગ્રણી છે, આ વિસ્તારમાં તેમનું ખાસું વર્ચસ્વ છે. તેઓ શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક હતા અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ ભાવસિંહ રાઠોડ પણ ભાજપને સમર્થન જાહેર કરે એવી શક્યતા છે. એ પણ ઠાકોર સમાજના અગ્રણી છે અને ઠાકોર સમાજ પર તેમનો દબદબો છે તથા તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોને ટક્કર આપવા માટે ભાજપે બે ધૂરંધરો ઊભા કર્યા છે. આમ, રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની તાકાત ઓછી કરવામાં ભાજપે કોઇ કસર બાકી નથી રાખી. આ બેઠક પરના જાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખતા જ ભાજપ તમામ નિર્ણયો લઇ રહ્યું છે.