ગુજરાત ચૂંટણી : ભાજપના કમળ માટે માત્ર 77 પાંખડીઓ પાકી
તાજેતરમાં એક કંપની દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન સર્વે અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપ માટે અત્યંત કપરાં ચઢાણ છે. આનો અર્થ એ નથી કે અન્ય પક્ષો માટે હસતા- રમતા મતો મળી જવાની સ્થિતિ ઉભી થઇ છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં રૂબરૂ જઇને ચૂંટણી પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ માટે અંદાજે 77 બેઠકો પર જીત પાક્કી છે. 8 બેઠકો એવી છે જ્યાં જીતમાં વિજય મળવાની શક્યતા છે. એવી જ રીતે વિપક્ષ કોંગ્રેસ માટે પણ માત્ર 14 બેઠકો પર જીત પાકી છે. જ્યારે 13 બેઠકો એવી છે જ્યાં જીતની શક્યતા વધારે છે. આ હિસાબે 182માંથી બાકી રહેતી 70 બેઠકો એવી છે જેના પરિણામ કોના તરફી હશે તે કહેવું મુશ્કેલ છે.
જે બેઠકો પર પરિણામનું અનુમાન કરવું મુશ્કેલ છે તેમાં કચ્છની કેટલીક બેઠકો, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો, અમદાવાદ, પંચમહાલ, વડોદરાની કેટલીક બેઠકો, જામનગર અને પોરબંદરની કેટલીક બેઠકો, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લાની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે.
આ વખતની ચૂંટણીઓમાં પરિણામોની અનિશ્ચિતતા માટે જે બે મુખ્ય પરિબળો બહાર આવ્યા છે તેમાં નવું સીમાંકન થવાના કારણે વહેંચાયેલા મતો અને કેશુભાઇ પટેલ ફેક્ટરની અસર છે. ભાજપને આ વખતે સૌથી વધારે ડર સૌરાષ્ટ્રની બેઠકોના મત કેશુબાપાના પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની ઝોળીમાં જતા રહેવાનો સૌથી મોટો ડર છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 13 ડિસેમ્બર, 2012 અને બીજા તબક્કા માટે 17 ડિસેમ્બર, 2012ના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદારો જ રાજા હોવાનું પૂરવાર થશે. 20 ડિસેમ્બરે થનારી મત ગણતરીમાં કોના નસીબમાં ગાંધીનગરના સિંહાસન પર બેસવાનું આવશે તે જાણવા મળશે.