સુરતમાં વાલીઓના ફી વધારામાં ભળ્યો રાજકારણનો રંગ
ચૂંટણી સમયે કોંગ્રેસી નેતાઓ પણ સુરતમાં વાલીઓના ફી વધારા મુદ્દે ઝંપલાવ્યું. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
શાળાઓ જે આડેધઢ ફી વધારો ઝીંકી દે છે અને વાલીઓ ફી વધારા સામે જે આંદલન ચલાવે તે વાત ગુજરાતમાં હવે કંઇ નવી નથી રહી. જોકે ચૂંટણી નજીક આવતા જ આ બાબતમાં રાજકીય રંગ ભળતો જોવા મળ્યો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન શાળા દ્વારા મસમોટો ફી વધારો ઝીંકીને સત્ર ફી ની માંગ કરવામાં આવી હતી જે બાબતે તેમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ઘણા રોષે ભરાયા હતા અને વાલીઓએ પોતાનો રોષ રજૂ કરવા શાળાની સામે ધરણા યોજ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાલીઓ છેલ્લા 8 મહિનાથી આ ફી વાધારાના મુદ્દે મુશ્કેલીમાં મૂકાયા છે.
જોકે વાત આટલેથી અટકી નહોતી પરંતુ વાલી આયોજિત ધરણા કાર્યક્રમમાં સુરતના મજુરા વિસ્તારના કોંગ્રેસ ઉમેદવાર અશોક કોઠારી એ પણ ઝંપલાવી દીધું હતું અને તેમણે જણાવ્યુ કે વાલીઓએ શાળા સત્તા સામે વાતચીતથી આ સમસ્યાના ઉકેલનો વિકલ્પ મૂક્યો હોવા છતાં શાળાના સંચાલકોએ શાળાન દરવાજા બંધ કરાવી દીધા હતા. આ ઘટનામાં ઉમરા પોલીસ સહિતનો સ્ટાફ શાળાએ પહોંચ્યો હતો અને સંચાલકો તેમજ વાલીઓના એસોસિયેશન વચ્ચે બેઠક કરાવીને વચલો રસ્તો કઢાવવા માટે કહ્યુ હતું.