ગુજરાત ચૂંટણી 2017: ટિકિટ વહેંચણી ભાજપ માટે મોટો કાયડો
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉમેદવારની યાદી જલ્દી જાહેર થાય તેવી પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પક્ષ વિરોધી ચળવળ ટાળવા માટે મોટાભાગે વર્તમાન લોકોને નથી આપતા ટીકિટ.વાંચો અહીં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણી પ્રચાર ઉપરાંત નેતાઓની નજર પક્ષની ઉમેદવારોની યાદી પર પણ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉમેદવારની યાદીમાં પોતાનું નામ આવે એની પ્રાર્થના કરી રહ્યા હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પક્ષ વિરોધી ચળવળ ટાળવા માટે મોટાભાગે વર્તમાન ધારાસભ્યોને ચૂંટણીની ટિકિટ આપવાનું ટાળે છે. જો કે, કેટલાક ઉમેદવારોને આશા છે કે, હાઇ કમાન્ડ પક્ષપલટાને ટાળવા માટે તેમને ટિકિટ આપશે.
BJPનું ટિકિટ વહેંચણીનું સમીકરણ
વર્ષ 2007માં નરેન્દ્ર મોદી ગુજરાતની મુખ્યમંત્રી હતા અને ત્યારે તેમણે લગભગ 47 ધારાસભ્યોને ટિકિટ નહોતી આપી. જો કે, આ આંકડો વર્ષ 2012માં ઘટીને 30 થયો હતો, જેનું કારણ કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી માનવામાં આવે છે. વર્ષ 2002માં રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારે પહેલીવાર ભાજપની આગેવાની કરી ત્યારે 121 ધારાસભ્યોમાંથી 18ને ટિકિટમાંથી બાકાત કરવામાં આવ્યા હતા.
યુવા નેતાઓની ત્રિપુટી
રાજ્યમાં હાલ હાર્દિક પટેલ અને પાસ દ્વારા ચાલતી અનામતની ચળવળને કારણે ભાજપને ખાસી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાટીદાર સમાજનો ઉગ્ર વિરોધ ભાજપ માટે પડકાર છે. હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે હાથ મિલાવે કે ન મિલાવે, પરંતુ તે ભાજપને સમર્થન ક્યારેય નહીં આપે એ વાત સ્પષ્ટ છે. સામે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું સમર્થન મેળવવામાં સફળ થઇ છે અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીનું વલણ પણ કોંગ્રેસ પ્રત્યે નરમ થતું જોવા મળ્યું છે. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ વચ્ચે તેમના સમાજના હિતની હરીફાઇ છે, આથી જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાર્ટીએ બંને સમાજનો વિચાર કરીને ખૂબ સમજદારીપૂર્વક ટિકિટ વહેંચણી કરવી પડશે.
શું કરશે ભાજપ?
કોંગ્રેસે તો રાજ્યસભા ચૂંટણી પહેલાં જ જાહેરાત કરી હતી કે, તેમના પક્ષના વર્તમાન તમામ ધારાસભ્યોને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે અને જો તેઓ ખરેખર તેમનો નિર્ણય અફર રાખે તો 43 બેઠક માટેના તેમના ઉમેદવારો પહેલેથી જ નક્કી છે. આથી ભાજપ સામે હવે રાજ્યમાં હાલની જાતિવાદની પરિસ્થિતિને જોતાં નિર્ણય લેવાનો પડકાર ઊભેલો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી, ત્રણેય યુવા નેતાઓ પોતાના સમાજ પર પ્રભુત્વ ધરાવે છે. આથી તેમના પડકારોનો સામનો કરવા માટે ભાજપ નવા યુવા ચહેરાને મેદાનમાં ઉતારે એવી શક્યતા નકારી શકાય એમ નથી.
PMની જોવાઇ રહી છે રાહ
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભાજપે આદિવાસીઓ માટે કેટલીક પહલ કરી હોવા છતાં કોંગ્રેસ દ્વારા ભૂતકાળમાં ઉપયોગમાં લેવાયેલ KHAM(ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ)ની નીતિ આ વખતે ફાયદાકારક નીવડે એમ લાગી રહ્યું છે. આથી ભાજપ પાસે ઉચ્ચ જ્ઞાતિ(બ્રાહ્મણ, વાણિયા - 10 ટકા) અને ઓબીસી(મોટેભાગે કોળીઓ - આશરે 20 ટકા)નું જ સમર્થન બચ્યું કહેવાય. ભાજપને આશા છે કે, પાટીદાર સમાજમાંથી પણ કેટલાક પ્રમાણિક મતદારોને તેમને લાભ મળશે, પરંતુ ઉગ્ર વિરોધને કારણે ફાયદો કોંગ્રેસને થવાની પૂરી શક્યતા છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીની ઇલેક્શન કમિટીની બેઠક આસિયાન બેઠકમાંથી પીએમ મોદી પરત ફરે એ પછી 14 નવેમ્બરના રોજ યોજાય એવી શક્યતા છે. ભાજપ કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરવાની રાહ જોઇ પોતાનો નિર્ણય લે એવી પણ શક્યતા છે.