ગુજરાતના ખેડૂતની નવી પહેલ : હળદરની સજીવ ખેતી કરી
મહેશભાઈ કહે છે કે, હું માત્ર એસ.એસ.સી સુધી ભણેલો છું. કંઈક નવું કરવાની હંમેશા મનમાં ઝંખના હતી. સજીવ ખેતીના જાણકાર અને ગ્લોબલ વોર્મિગ કમિટીના અધ્યક્ષ એવા વલસાડના ડો. અશોક શાહ અને વડોદરાના કપિલ શાહના માર્ગદર્શન હેઠળ કચ્છ ખાતે આત્મન પ્રોજેકટની રામકૃષ્ણ ટ્રસ્ટ સંચાલિત કેન્દ્રની 11 દિવસની શિબિરમાં ભાગ લીધો.
જિલ્લાકક્ષાએ આત્મન પ્રોજેકટ અંગેની જાણકારી મળ્યા બાદ મહેશભાઈએ ભૂમિકૂચ મંડળની રચના કરી. મંડળના સદસ્યો નિયમિત હાજર રહીને ખેતી વિશે શું નવું કરી શકાય તે અંગે ચર્ચા વિચારણ કરતા હતા. આવી રીતે જાણવા મળ્યું કે ખેતીવાડી શાખા મારફતે લગભગ રૂપિયા 12,000ના ભાવે હળદરના બિયારણની કીટ મળે છે.
લોકફાળા તરીકે તેમણે રૂપિયા 2300 ભરી દીધા. પૈસા ભર્યા બાદ મહેશભાઈ પટેલને 24 મણ રાજાપુરી હળદરનું બિયારણ સાથે 8 ગુણી સેન્દ્રીય ખાતર, એક ફંગી સાઈડ(સીકસર) દવા સહિત રાહતદરે બિયારણ મળ્યું છે.
આ બિયારણ મહેશભાઈએ એકવિઘા જમીનમાં વાવેતર કર્યું. સમયાંતરે કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ પાક તૈયાર થયો. આઠ મહિનાના સમયગાળામાં આ હળદરના પાકમાં એક વિઘામાં 216 મણ જેટલો મબલખ હળદરનો ઉતારો આવ્યો.
આ હળદર બજારમાં કાચોમાલ વેચવાનો નિર્ણય કર્યો પણ લીલી હળદરના બજારમાં કિલોના 100 થી 120ના જ ભાવ મળે તેમ હતું. તેમને અન્ય ખેડૂતો સાથેની ચર્ચા વિચારણામાં જાણવા મળ્યું કે, લીલી હળદરને મૂલ્યંવર્ધિક બનાવી વેચાણ કરવામાં આવે તો વધારે ભાવ મળે. ત્યાર બાદ તેમણે હળદરનો ગ્રેડિંગ સાફસફાઈ કરી બોઈલ કરી સુકવ્યા પછી ઘરે જ ઘંટીમાં દળીને પાવડર બનાવી વેચવાની શરૂઆત કરી.
હળદરની ગુણવત્તા જોતા સંગાસંબધીઓમાં જ કિલોના રૂપિયા 250ના ભાવે હળદરનું વેચાણ થઈ ગયું. આમ મહેશભાઈને હળદરના વાવેતરથી લઇને પાવડર બનાવવા તેમજ અન્ય મજુરીના ખર્ચ પિયા 35,000 થયો તેની સામે રૂપિયા 1,35,000નું ચોખ્ખુ વળતર પ્રાપ્ત થયું.