આ વર્ષે ગુજરાતનો સ્થાપના દિન નવસારીમાં ઉજવાશે

રાજયકક્ષા ગુજરાત ગૌરવ દિન ઉજવણીમાં નવસારીનું ગૌરવ ગૌરવાવિંત બને તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. નવસારી રાજયભરમાં એક સીમાચિહન બની રહે તે માટે તંત્ર સતર્ક છે. પુ. મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહની લડતથી માંડીને સંસ્કારી નગરી તરીકે અનોખી છાપ છે. 1 મેના ગૌરવદિને નિત્ય નુતન નવસારી કાર્યક્રમ દરમિયાન ગુજરાત અને નવસારીની ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરાશે.
આ કાર્યક્રમમાં રાજયપાલ ર્ડા.શ્રીમતી કમલા અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ ઊજવણી અવસરે જિલ્લામાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી, મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સખ્યાબંધ ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાતો કરશે.
કલેકટર ર્ડા.સંધ્યા ભુલ્લરના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં ગૌરવદિવસ ઊજવણીના વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ થઇ ચુકયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવાની સાથે મુખ્યમંત્રીના વિકાસપર્વમાં સહભાગી બનવાની સાથે નવસારી જિલ્લાનાં લોકો તેની અનોખી રીતે ઉજવણી કરશે.
લોકભાગીદારીના સંકલ્પ સાથે જિલ્લાની અધિકાંશ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવી રહયું છે. આજ દિન સુધી 99413 ભુલકાંઓને દાતાઓના સહયોગથી તિથીભોજન કરાવાયું છે. રકતદાન શિબિરોનું પણ આયોજન પણ કરાયું છે. શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જાગૃતિના સંકલ્પ સાથે શાળાના બાળકો રેલીઓ યોજી રહયા છે. કલેકટરે જિલ્લાની જનતાને ઉજવણીમાં ભાગીદાર બનવા અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
