ગુજરાત : ચાર વીજ વિતરણ કંપનીઓની કામગીરી મર્જ કરાશે
વર્ષ 2005માં ઇલેકટ્રી સીટી એકટ-2003 હેઠળ જીઇબીના ભાગલા કરી અલગ-અલગ કંપનીઓની રચના કરવામાં આવી હતી. વિજળી ક્ષેત્રમાં પુનઃ રચનાના ભાગરૂપે મેનેજમેન્ટમાં કાર્યક્ષમતા સુધારવા અને ગ્રાહકોને સારી સેવા આપવા માટે અલગ-અલગ કંપનીઓની રચના કરવામાં આવી હતી.
તે સમયે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (જીયુવીએનએલ) કે જે હોલ્ડીંગ કંપની છે, ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીક સીટી કોર્પોરેશન લીમીટેડ (જીએસઇસીએલ) કે જે જનરેશન બિઝનેસ માટે, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) કે જે ઇલેકટ્રીક સીટી ટ્રાન્સમીશન માટે રચવામાં આવી હતી ઉપરાંત દક્ષિણ ગુજરાત વિજ કંપની લીમીટેડ, મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડ, ઉત્તર ગુજરાત વિજ કંપની લીમીટેડ અને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ (પીજીવીસીએલ)ની વીજ વિતરણ માટે અનુક્રમે દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર માટે રચવામાં આવી હતી.
આ ફેરફાર કર્યાના આઠ વર્ષ બાદ હવે સરકાર ફરી ચાર વિજ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને મર્જ કરવાની તૈયારી કરી રહી છે. રાજયના એનર્જી અને પેટ્રોલીયમ ડિપાર્ટમેન્ટના અગ્રસચિવ ડી.જે.પાંડીયને જણાવ્યુ છે કે, મર્જ કરવાની દરખાસ્ત હાલ વિચારણા હેઠળ છે. જો કે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાર વિજ વિતરણ કંપનીઓનું નવી કંપની ગુજરાત વીજ વિતરણ નિગમ લીમીટેડ (જીવીવીએનએલ)માં રૂપાંતરીત કરવામાં આવે તેવી શકયતા છે.
વીજ ડિસ્ટ્રીબ્યુશન (વિતરણ) કંપનીના એક વરિષ્ઠ સુત્રોના જણાવ્યા પ્રમાણે લોડ મેનેજમેન્ટ, એક સમાન વીજ ટેરીફ જાળવવા અને ટેકસની અસરો જેવા મામલાઓને કારણે આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. નાણાકીય જવાબદારીઓ પુરી કરવા માટે ચાર વિજ કંપનીઓ પાસે કોઇ વ્યવસ્થા નથી. વળી તેઓની પાસે ચર્ચા કરવાની કોઇ સત્તા નથી ઉપરાંત નાણાકીય સમસ્યા ઉભી થાય તો તેને ઉકેલવા પણ કોઇ આયોજન નથી.
આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો એક સીંગલ કંપની રચવામાં આવે તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એમ છે. આ દરખાસ્ત પાછળ ટેકસનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને ચાર કંપનીઓ વચ્ચેના વ્યવહારો ઉપર ઘણી મોટી ટેકસની જવાબદારી આવે તેવી શકયતા છે. જો સીંગલ કંપની હોય તો ટેકસ નિવારી શકાય છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે નવી જે કંપનીની રચના થાય તેનુ નેતૃત્વ એમ.ડી. કરી શકે છે અને આ કંપની સીંગલ બોર્ડ અથવા તો ઝોનલ ઓફિસો દ્વારા કામ કરી શકે છે. ઝોનલ ઓફિસોના વડા એમડી કે સીઇઓ કરી શકે છે. આ નવી દરખાસ્તની તરફેણમાં કર્મચારીઓ પણ હોય તેવુ માનવામાં આવે છે.
જયારે ચાર વિજ કંપનીનું રૂપાંતર કરવામાં આવ્યુ ત્યારે કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. એ વખતે મુખ્ય હેતુ હતો ખોટ અટકાવવી, વીજ ચોરી નિવારવી અને કામકાજમાં સ્વાયત્તા લાવવી, ચારેય કંપનીઓ વચ્ચે હરિફાઇ પણ થાય. સરકારના હેતુઓ સિધ્ધ થયા અને ચાર વિજ વિતરણ કંપનીઓ દેશની શ્રેષ્ઠ કંપનીઓ બની ટોપ રેટીંગનો એવોર્ડ પણ મેળવી ચૂકી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એક સેપરેટ કંપની બનાવવા પાછળનો હેતુ એ પણ છે કે, કોર્પોરેટ લેવલે કર્મચારીઓનું ભારણ વધ્યુ છે તેથી કાર્ય ક્ષમતા નીચી ગઇ છે. અગાઉ સ્ટેટ લેવલે માત્ર થોડા જ લોકો મેનેજમેન્ટનું કામ કરતા હતા પરંતુ હવે ચાર કંપનીઓ હોવાથી ચારેયને અલગ-અલગ વહીવટી સ્ટાફ છે.