વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ
વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂપિયા 1933.55 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ગ્રાન્ટમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ 2022 માં રૂપિયા 793.13 લાખ અને વર્ષ 2023માં રૂપિયા 1140.42 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઉંડા કરવામાં આવે છે. 31 ડિસેમ્બર, 2023ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં 274 પંચાયતોના 402 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.
જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 75 પંચાયતોના 81 તળાવો એમ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 483 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે, તેમ મંત્રી મુકેશ પટેલે પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
