કિશોરીઓની તંદુરસ્તી માટે કુપોષણ દૂર કરતી રાજ્ય સરકારની પૂર્ણા યોજના
કિશોરીઓની તંદુરસ્તી માટે કુપોષણ દૂર કરતી રાજ્ય સરકારની પૂર્ણા યોજના
રાજ્યમાં મહિલાઓની તંદુરસ્તી અને ભાવિ માતાઓના આરોગ્યની કાળજી રાખવા કુપોષણ મુક્ત સમાજના વિકાસ નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ પોષણ અભિયાનને પૂર્ણા યોજનાના નામથી ઓળખવામાં આવે છે. પુર્ણા યોજના એટલે પ્રિવેન્સન ઓફ અન્ડરન્યૂટ્રીશન એન્ડ રિડક્શન ઇન ન્યુટ્રીશનલ એનીમિયા જેને મિતાક્ષરીમાં પૂર્ણા યોજના કહેવામાં આવે છે.

રાજ્ય સરકારની આ યોજના મુખ્યત્વે છેવાડાના અંતરિયાળ વિસ્તારની દીકરીઓ અને માતાઓના આરોગ્યની સુરક્ષા કરી તંદુરસ્ત સમાજના નિર્માણ કરવાનો અને માતા અને તેના આવનાર બાળકની તંદુરસ્તી જળવાઇ રહે તે માટેના નિર્માણ કરવાની આ યોજના છે. જેમાં, 14 વર્ષથી 18 વર્ષની ઉંમરની દિકરીઓના ખોરાક અને પોષણ સંબંધી જરૂરિયાત પુરી પાડવા અને તેમના જરૂરી મેડિકલ અને સૂક્ષ્મ પોષણતત્વ યુક્ત ટેક હોમ રાશન ઉપલબ્ધ કરાવવાની યોજના છે. રાજ્યની કિશોરીઓને દર મહિને 16 હજાર મેટ્રિક ટન રાશન રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં 270 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
આ અંગે વાવના આંગણવાડી કાર્યકર ચંદ્રિકાબેને જણાવ્યુ હતુ કે, અમારા વિસ્તારમાં યોગ્ય પોષણયુક્ત આહારની અજ્ઞાનતાના કારણે કિશોરીઓમાં કમી રહેતી હતી. જેના કારણે, સગર્ભાવસ્થામાં કુપોષણના કારણે બાળક પણ કુપોષણયુક્ત પેદા થતાં, હવે આ પૂર્ણા યોજના થકી યોગ્ય રાશન અને સમજ આપવામાં આવે છે.
ગુજરાતમાં આ યોજના રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર યોજનાના અસરકારક અમલીકરણ માટે અને જરૂરી ડાટા મોનિટરીંગ માટે આંગણવાડી કેન્દ્ર સંચાલિકાઓને સ્માર્ટ ફોન સુવિધાસજ્જ કરવામાં આવી છે. રાજ્યની 53 હજાર આંગણવાડી કેન્દ્રો દ્વારા 60 લાખથી વધુ કિશોરીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.
મહિલાઓમાં પૂર્ણા યોજના થકી કુપોષણનો દર ઘટ્યો છે, જન્મતાં બાળકોમાં પણ કુપોષણ નું પ્રમાણ ઘટ્યુ હોવાનું થરાદના આંગણવાડી કાર્યકર રાધાબેને જણાવ્યુ હતું. તો, ભાવના બેને જણાવ્યું હતુ કે, તેમણે આંગણવાડીમાંથી મળતી પોષણયુક્ત રાશન કીટ શરીરના વિકાસ માટે ખુબ જરૂરી અને આવશ્યક છે.
ત્યારે, રાજ્યની વર્તમાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર પણ ગુજરાતને લાગેલા કુપોષણના કલંકને દૂર કરવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ કરવા માટે સંપુર્ણ કટિબદ્ધ છે. તાજેતરના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા 220 કરોડની જોગવાઇ આ યોજના માટે કરવામાં આવી છે. ત્યારે, રાજ્ય સરકારના પ્રયાસો રાજ્યમાંથી કુપોષણના કલંકને દૂર કરવા અને તંદુરસ્ત સમાજને બનાવવા કારગર બની રહ્યા છે.












Click it and Unblock the Notifications
