ગુજરાતના રાજ્યપાલ ટૂંક સમયમાં રાજીનામુ આપી શકે
ગાંધીનગર, 18 જૂન : ગુજરાતના રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનિવાલ નવેમ્બર 2014માં તેમની મુદત પુરી થતા પહેલા જ રાજીનામુ આપી દેશે તેવી સંભાવનાઓ ઉભી થઇ છે. જો કે 17 જૂન, 2014 મંગળવાર સુધી આ અંગે તેમણે કોઇની સાથે કોઇ પ્રકારની વાતચીત કરી નથી. ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને સામાન્ય વહીવટી વિભાગના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે તેમને આ અંગે કોઇ માહિતી મળી નથી.
નોંધનીય છે કે કમલા બેનિવાલની નિયુક્તિ 27 નવેમ્બર, 2009ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો વણસેલા રહ્યા હતા. આ કારણે જ ભાજપ અવારનવાર વિવિધ મુદ્દે રાજ્યપાલ પર પ્રહારો કરતી રહી છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકમાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આર એ મહેતાની નિયુક્તિથી રોષે ભરાયેલા ભાજપે રાજ્યપાલના રાજભવનને કોંગ્રેસ ભવન બોલાવવાનું શરૂ કરી દીધું હતું.

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યપાલ બેનિવાલ વચ્ચે સંબંધો ત્યારે વધારે વણસ્યા હતા જ્યારે તેમણે વિધાનસભામાં બહુમતીથી પસાર થયેલા ફરજિયાત વોટિંગ અને તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામતના ખરડાને રાજ્યપાલની મંજુરી માટે મોકલ્યો હતો.
ત્યાર બાદ અવારનવાર વિવિધ મુદ્દે જેમ કે ગેરકાયદેસર બાંધકામોને અધિકૃત કરતા ઇમ્પેક્ટ ફી બિલ, ખાનગી યુનિવર્સિટી બિલ વગેરે મુદ્દે સંબંધો વધારે ખરાબ થયા હતા.
ગુજરાત ભાજપના પ્રમુખ આર સી ફળદુએ ઓક્ટોબર 2011માં ભારતના રાષ્ટ્રપતિને લખ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલની બદલી કરવી જોઇએ. નોંધનીય છે કે વર્ષ 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ કૈલાસપતિ મિશ્રાને દૂર કરાયા હતા.












Click it and Unblock the Notifications
