ગુજરાત સરકાર 2002માં નુકસાન પામેલી મસ્જિદોનો મરામત ખર્ચ આપવા સંમત
ગાંધીનગર, 30 ઓગસ્ટ : ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ સદભાવનાના માર્ગ ઉપર આ પગલું ભર્યું છે. ગુજરાત સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને એવી ખાતરી આપી હતી કે તે વર્ષ 2002ના રમખાણોમાં નુકસાન પામેલી મસ્જિદોના સમારકામ અને મરામત માટે ચૂકવણી કરવાની એક યોજના ટૂંક સમયમાં લાવશે.
ગુજરાત સરકારે અંદાજે 10 વર્ષની કાયદાકીય લડાઇ બાદ આ મુદ્દે યુ-ટર્ન લીધો છે. આ અગાઉ રાજ્ય સરકારે રમખાણોમાં મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોને થયેલા નુકસાન માટે જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતાએ આ ખાતરી આપ્યા બાદ ન્યાયમૂર્તિ કે એસ રાધાક્રિષ્નન અને ન્યાયમૂર્તિ એ કે સિકરીની બનેલી બેન્ચે સર્વે, આકારણી અને ધાર્મિક ટ્રસ્ટો દ્વારા દાવાઓની પ્રોસેસીંગ કાર્યવાહી સહિત તમામ પ્રક્રિયા પર મનાઇ હુકમ આપ્યો હતો.
રાજ્ય સરકારે એવી ખાતરી આપી છે કે પહેલી ઓક્ટોબરે આ કેસની આગામી સુનવણી સુધીમાં આ અંગેની યોજના ઘડી કાઢવામાં આવશે અને અદાલત તેમજ અસલ અરજદાર ઇસ્લામિક રીલીફ કમિટિ-ગુજરાત (આઇઆરસીજી) ને બતાવશે. સરકારના આ પગલાં અંગે આઇઆરસીજીના ચેરમેન શકીલ એહમદે જણાવ્યું હતું કે "સરકાર આ યોજના જાહેર કરે તેની અમે રાહ જોઇશુ પરંતુ આ પગલું મોદી સરકાર પર લાગેલા કલંકને દૂર કરવાના પ્રયાસ છે એવું મારું માનવું છે."
આઇઆરસીજીએ વર્ષ 2003માં મુસ્લિમ ધાર્મિક સ્થળો અને મસ્જિદો સહિત નુકસાન પામેલા 545 ધાર્મિક સ્થળોનું સમારકામ હાથ ધરવા માટે રાજ્ય સરકારને આદેશ આપવાની માંગણી કરતી એક અરજી ગુજરાત હાઇ કોર્ટમાં રજૂ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે રાજ્ય એક કસ્ટોડીયન તરીકે ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઇ છે. રાજ્ય સરકારે એવું જણાવ્યું હતુ કે બિનસાંપ્રદાયિક રાજ્ય ધાર્મિક સ્થળોના સમારકામ માટે નાણાકીય સહાય આપવા જવાબદાર બનતી નથી.
આ મુદ્દે ફેબ્રુઆરી 2013માં હાઇકોર્ટે રાજ્ય સરકારને રમખાણ સંબંધિત નુકસાનનું વળતર આપવા જણાવ્યું હતું અને જાન માલનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ હાઇકોર્ટે રાજ્ય સરકારની ટીકા કરી હતી. રાજ્ય સરકારે ત્યારબાદ હાઇકોર્ટના આદેંશ સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી.
નોંધનીય છે કે રાજ્યમાં કુલ 545 ધાર્મિક સ્થળો ક્ષતિગ્રસ્ત થયા હતાં તેમાંથી 526 ધાર્મિક સ્થળ મુસ્લિમ સમાજના છે; ઉપરાંત આમાના ઘણાં ધર્મસ્થાનો એવા છે કે જેમને 1969, 1985, 1992 અને 2002માં નુકસાન થયું છે તેથી આવા ધાર્મિક સ્થળોને ઓછી રકમ ફાળવાશે તેથી મરામત પૂર્ણ રીતે થઈ શકશે નહીં.