ભરૂચના જંબુસર પાસે GSRTCની બસમાં શોર્ટસર્કિટ બાદ આગ
ભરૂચ, 16 ડિસેમ્બર : ભરૂચના જંબુસર પાસેના નાડાથી જંબુસર તરફ આવી રહેલી GSRTC એટલે કે ગુજરાત એસટી બસમાં શોર્ટ સર્કિટ થયા બાદ બસ આગની લપેટોમાં લપટાઇ ગઇ હતી. સોમવાર 15 ડિસેમ્બરની બપોરની આ ઘટનામાં ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ બસ મુસાફરોને બસની બહાર ઉતારી દેતા મોટી જાનહાનિ થતા બચી હતી. આ દુર્ઘટનામાં બસ બળીને ખાખ થઇ ગઇ હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર જંબુસર ડેપોની એસટી બસ લઇને ઇકબાલભાઇ નામના ડ્રાયવર નાડાથી જંબુસર તરફ આવી રહયાં હતાં. જંબુસર શહેરમાં પ્રવેશેલી એસટી બસ વન વિભાગની કચેરી નજીકથી પસાર થતી હતી ત્યારે અચાનક એન્જીનમાંથી ધુમાડા નીકળતાં ઇકબાલભાઇએ બસને થોભાવી દીધી હતી.
ડ્રાઇવર ઇકબાલ ભાઇને શોર્ટ સર્કિટનો અહેસાસ થતા, તેમણે સૌપ્રથણ બસમાં બેઠેલાં તમામ 18 મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. એન્જિનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી બસ આગની લપેટમાં આવી ગઇ હતી.
આ બનાવની જાણ થતાં જંબુસરથી ફાયર બ્રિગેડની ગાડીઓ અને જવાનો દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખી એસટી બસ આગમાં બળી ગઇ હતી. બસમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે.