ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો રાજકોટ ખાતેથી પ્રારંભ કરાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) નો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો. રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો દેશ-દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે, તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભર, માહિતી સભર બને તેવી વડાપ્રધાનની નેમને પાર પાડવા ગુજરાત સરકારે આ ક્વિઝરૂપી અભિનવ પહેલ વર્ષ-૨૦૨૨થી કરી છે.

મુખ્યમંત્રી એ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતા ઉમેર્યું કે, શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે. જીવનમાં નવું જાણવાની, નવું શીખવાની અને નવું કરવાની રૂચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે.
ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનના પ્રશ્નોના આપેલા જવાબ છે, તો ઉપનિષદોમાં પણ ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચેના સવાલ-જવાબ છેની વાત કરતા તેમણે ઉમેર્યું કે સવાલ-જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આ સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે.
દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી મેળવતી આજની પેઢીને આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ક્વિઝ માહિતીસભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું દૂરંદેશીભર્યું પગલું છે.
મુખ્યમંત્રીએ ગત વર્ષની ક્વિઝની આંકડાકીય માહિતી આપતાં કહ્યું કે વર્ષ ૨૦૨૨માં યોજાયેલી જ્ઞાનગુરુ ક્વિઝમાં રાજ્યભરના ૨૩ લાખથી વધુ નાગરિક સામેલ થયા હતા, જેમાંથી ૧ લાખ ૩૦ હજારથી વધુ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૨૩ ની આ જ્ઞાનગુરુ ક્વિઝ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે.
શાળાકીય જીવન દરમિયાન ગાંધીજીએ સાચો સ્પેલિંગ લખવા નકલ કરવા કરેલા ઇન્કારના પ્રસંગ અને વડાપ્રધાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નકલથી નહી પરંતુ મહેનતથી પાસ થવાની, આગળ વધવાની પ્રેરણા આપી છેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે જીવનની પરીક્ષામાં પાસ થવા માટે પ્રમાણિકતાનો ગુણ અને એ માટેનું મક્કમ મનોબળ કેળવવા અગત્યના છે. આ ક્વિઝનું આયોજન વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે.












Click it and Unblock the Notifications
