ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, ગીર, ડીસા, પાલનપુરમાં હીટવેવ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરીથી વધશે.
આગામી દિવસોમાં તાપમાન 40થી 41 ડિગ્રી જેટલુ રહેવાની સંભાવના છે. હાલમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો ભૂજમાં તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો છે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ડીસા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. વડોદરામાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગે ગરમીથી બચવા માટે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.
હીટવેવની આગાહીના પગલે લોકોના કામ વિના બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. લોકોને 12થી 4 દરમિયાનકામ વિના બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશથી બચાવવા ભરપૂર માત્રીમાં લીંબુપાણી પીવા માટે સૂચન કરવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.