ગાંધીનગર, 1 એપ્રિલ : ગુજરાત રાજ્યમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેનું જાહેરનામુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 2 એપ્રિલના રોજ જાહેર કરાશે. ત્યાર બાદ 9 એપ્રિલ સુધી ઉમેદવારો તેમના નામાંકન ભરી શકશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંદર્ભમાં વિવિધ પ્રક્રિયાઓ બુધવાર 2 એપ્રિલ, 2014થી શરૂ થઇ રહી છે. જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ નામાંકનપત્ર મેળવવાની, ભરવાની અને તેને સુપરત કરવાની પ્રક્રિયા શરુ થશે.
ભારતના ચુંટણીપંચે જાહેર કર્યા મુજબ ગુજરાતમાં લોકસભાની ચુંટણી સાતમા તબક્કામાં 30 એપ્રિલના રોજ આવે છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે 2થી 9 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ચકાસણી 10મીએ થશે. ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ છે. મતદાન 30 એપ્રિલે યોજાશે. આખા દેશની મત ગણતરી એક સાથે 16મે શુક્રવારે થશે. ચુંટણી પ્રક્રિયા 26મે સુધીમાં પુરી કરવાની છે.
ચુંટણીનો કાર્યક્રમ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેરાતના દિવસથી જ આચારસંહિતા લાગુ પડી ગઇ છે. નવી સરકારની રચના થતા સુધી આચારસંહિતા અમલમાં રહેશે. ગુજરાતમાં 40000 થી વધુ મતદાન મથકો, 26 બેઠકો, 182 વિધાનસભાા મત વિસ્તારો અને 4 કરોડ જેટલા મતદારો છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા પહેલા આજે મંગળવારે વિડીયો કોન્ફરન્સમાં રાજયના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા વિશેષ માર્ગદર્શન અપાયું હતું.