APL કાર્ડ ધારકોને અનાજ વિતરણ માટે કરી વ્યવસ્થા.. જાણો તમને ક્યારે મળશે અનાજ
રાજ્યમાં તમામ રાશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે બુધવારના રોજ વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં લીધો હતો.
રાજ્યમાં તમામ રાશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે બુધવારના રોજ વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં લીધો હતો. જેના કારણે રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. આગામી ૧૩ એપ્રિલથી ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ૬૦ લાખ APL-1 કાર્ડધારકો એટલે કે ર.પ૦ થી ૩ કરોડ જેટલા મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.
અનાજ વિતરણમાં વ્યવસ્થા જાળવવાની રહેશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉન અને કોરોના વાયરસની પરિસ્થિતીમાં અનાજના વિતરણ દરમ્યાન ભીડભાડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સૌને પૂરતું અનાજ મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થામાં સરળતાથી જળવાઇ રહે તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ એક-એક સમિતીની રચના કરવામાં આવશે. આ સમિતીમાં શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણીનો સમાવેશ કરવામાં આવશે.
અનાજ વિતરણ માટે કરી આંક વ્યવસ્થા
APL-1 કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે આધાર કાર્ડ પણ લઇ જવાનું રહેશે તથા સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કર્યા છે. APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લો અંક ૧ અને ર છે તેમને ૧૩ એપ્રિલ, ૩ અને ૪ છેલ્લો અંક ધરાવતા કાર્ડધારકોને ૧૪ એપ્રિલ, પ અને ૬ છેલ્લો આંક ધરાવતા હોય તેને ૧પ એપ્રિલ તેમજ ૭ અને ૮ છેલ્લો અંક ધરાવતા APL-1 કાર્ડધારકે ૧૬ એપ્રિલ તથા ૯ અને ૦ છેલ્લો આંક હોય તેવા રેશનકાર્ડ ધારકને ૧૭ એપ્રિલના રોજ અનાજ વિતરણ કરાશે. અનિવાર્ય સંજોગોના કારણે જો કોઇ APL-1 કાર્ડધારક આ પાંચ દિવસ દરમ્યાન અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને ૧૮ એપ્રિલના રોજ અનાજ વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ CM વિજય રૂપાણીએ વિદેશમાં વસતાં ગુજરાતીઓ સાથે કર્યો સંવાદ