ગુજરાતની પેટાચૂંટણીઓ માટે CM આનંદીબેન પટેલનો પ્રચાર કાર્યક્રમ
ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : ગુજરાતમાં આગામી 13 સપ્ટેમ્બરના રોજ વડોદરાની લોકસભા તથા રાજ્ય વિધાનસભાની 9 બેઠકો માટે પેટાચુંટણી યોજાવાની છે. આ પેટા ચૂંટણીઓમાં પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઝંપલાવ્યું છે. આજે તેમનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાંચ દિવસમાં 10 જાહેરસભાઓ સંબોધી લગભગ તમામ મત વિસ્તારને આવરી લેશે. મત વિસ્તારદીઠ તેમની સરેરાશ એક-એક સભા યોજવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી રહયા ત્યાં સુધી કયારેય પેટાચુંટણીના પ્રચારમાં જતા ન હતા. તેમના નામે જ ચુંટણી લડવામાં આવતી હતી. હવે સમય બદલાયો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે નથી.
ગુજરાતને મહિલા મુખ્યમંત્રીના સ્વરૂપે આનંદીબેન મળ્યા પછી પ્રથમ વખત ધારાસભા અને સંસદના મતક્ષેત્રમાં જનાદેશ માંગવામાં આવી રહયો છે. ચુંટણીમાં ભાજપ હસ્તકની તમામ બેઠકો જાળવી રાખવા આખુ ગુજરાત ભાજપ કાર્યરત છે. આ કારણે જ આનંદીબેન પોતાના તરફથી કોઇ કચાશ રાખવા માંગતા નથી. તેઓ ભાજપની સ્થિતિને વધુ મજબુત કરવા જાતે જ ચુંટણી પ્રચાર કરવાનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી આનંદીબેન 6 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયા અને માળિયા હાટીનામાં, 7 સપ્ટેમ્બર રવિવારે તળાજા અને આણંદમાં, 8 સપ્ટેમ્બર સોમવારે સાંજે 4 વાગ્યે ટંકારામાં, 9 સપ્ટેમ્બરે લીમખેડા અને વડોદરામાં તથા 10 સપ્ટેમ્બરે ખેડા અને મણિનગરમાં સભા સંબોધશે.












Click it and Unblock the Notifications
