ગુજરાત પોલીસ ગ્રેડ પે: બીજેપી નેતાએ પોલીસ જવાનોને ચોર કહ્યાં, વિવાદ થતા પોસ્ટ ડિલેટ કરી
છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે મામલે ગુજરાત પોલીસમાં ભાજપા સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એવામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાનું વચન આપતાં જ રાજ્ય પોલીસ કર્મચારીઓએ
છેલ્લા ઘણા સમયથી ગ્રેડ પે મામલે ગુજરાત પોલીસમાં ભાજપા સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એવામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાનું વચન આપતાં જ રાજ્ય પોલીસ કર્મચારીઓએ પોતાના વોટ્સએપમાં AAP અને અરવિંદ કેજરીવાલના સ્ટેટસ વહેતા કર્યા છે . ત્યારે આ સળગતા મુદ્દે માણસા તાલુકા પંચાયતના ભાજપા સભ્ય ગુરુભા અનોડિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું હતું કે, 'દિલ્હીના ચોરે ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું', 'ગ્રેડ પે વધે તો હપ્તાખોરી બંધ કરી દેવાની'. ગુરુભાએ ગુજરાત પોલીસના જવાનોને ચોર કહી વાલિયા લૂંટારા સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. જેનાં કારણે પોલીસ કર્મચારીઓમાં ભાજપ નેતા સામે વ્યાપક રોષ ભભૂકી ઉઠયો છે.
પોલીસ ગ્રેડ પે મામલો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ 2022 સુધી કરવામાં આવી હતી.
સત્તાનાં નશામાં ચૂર માણસા ભાજપા તાલુકા પંચાયતના સભ્ય ગુરુભા અનોડીયાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત પોલીસને સંબોધીને ફરી રહેલાં મેસેજમાં લખવામાં આવ્યું છે કે, 'રોડ પર ગાડી ઉભી રાખી ભીખ માંગતા ચોરો ગ્રેડ પે વધે તો હપ્તા ખોરી બંધ કરી દેજો, હપ્તાખોરો હૃદય ઉપર હાથ રાખીને કહેજો તમે જે કરો છો એ યોગ્ય છે', 'તમે આજના યુગના વાલિયા લુંટારા છો લુંટારા', 'દિલ્હીનો એક ચોર ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું' સહિતની વણમાંગી સલાહ આપીને બળતામાં ઘી હોમવામાં આવ્યું છે.
સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસકર્મચારીઓને લાભ આપવો જોઈએ.પણ આજ સુધી પોલીસ ગ્રેડ પે મામલે કોઈ ખાસ નિર્ણય આવ્યો નથી.
આ સળગતા મુદ્દે ભાજપના ઉચ્ચ નેતાઓ પણ કોઈ નિવેદન કરવા માટે તૈયાર નથી. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસને શ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરતાં પોલીસ કર્મચારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. ગઈકાલથી પોલીસ કર્મચારીઓ અરવિંદ કેજરીવાલનાં ફોટાને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં શેર કરવા લાગ્યાં છે.