રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદનુ કહેર યથાવત છે ત્યાં આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદનુ કહેર યથાવત છે ત્યાં આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 13થી 17 જુલાઈ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં અગાઉથી સ્થળાંતર કરવા માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ 18 જળાશયો હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે. ઓરિસ્સામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લો પ્રેશર સક્રિય થતા અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે. અમદાવાદમાં 3થી 4 ઈંચ વરસાદ આગામી બે દિવસમાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તૈનાત
રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે અમરેલી-1, બનાસકાંઠા-1, ભરુચ-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીરસોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નર્મદા-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને તાપી-1 એમ એનડીઆરએફની કુલ 18 ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે છોટા ઉદેપુર-1, નર્મદા-1, આણંદ-1, ભરુચ-2, ડાંગ-1, ગીરસોમનાથ-2, જામનગર-1, ખેડા-2, મોરબી-1, નર્મદા-1, પાટણ-1, પોરબંદર-1, સુરેન્દ્રનગર-2, તાપી-1 એમ એસડીઆરએફની કુલ 18 પ્લાટુન તૈનાત કરવામાં આવી છે.

18 જળાશયો હાઈ એલર્ટ પર
રાહત કમિશનરના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે 11 જુલાઈની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત 44,36,980 હેક્ટરમાં ખરીફ પાકોનુ વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલમાં વાવણી ચાલુ છે. રાજ્યના જળાશયોની વિગત આપતા તેમણે જણાવ્યુ કે સરદાર સરોવર જળાશયમાં 159404 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 47.71 ટકા છે. પાણીની આવક થતા ગયા સપ્તાહ કરતા 7 ટકાનો વધારો થયો છે. રાજ્યના 206 જળાશયોમાં 251209 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 33.61 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઈ એલર્ટ પર કુલ 18 જળાશય, એલર્ટ પર કુલ 8 જળાશય અને વૉર્નિંગ પર કુલ 11 જળાશય છે.

ગાંધીનગર ખાતે યોજાઈ બેઠક
ઉલ્લેખનીય છે કે એસ.ઈ.ઓ.સી.,ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ શ્રી પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. રાહત કમિશનરશ્રીએ વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા, તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ, તેમજ ઊર્જા, માર્ગ-મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી,ઇસરો, કોસ્ટ ગાર્ડ,પંચાયત વિભાગ, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, NDRF, SDRF, GMB, GSDMA અને ફાયર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
