ગુજરાતની ST બસોમાં આવતા સપ્તાહે 10 ટકા ભાડા કાપ : નીતિન પટેલ
ગાંધીનગર, 6 ઓગસ્ટ : ગુજરાત રાજ્યના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન પટેલે ગુજરાતની પ્રજા માટે મોંઘવારીના મારમાં આંશિક રાહત મળે એવી વાત જાહેર કરી છે. નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ નિગમ)ની બસોમાં આગામી સમયમાં 10 ટકા ભાડા કાપ અમલી બનાવવામાં આવશે. આ ઘટાડો કદાચ આવતા સપ્તાહથી અમલી બનાવવામાં આવે એવી શક્યતા છે.
રાજ્ય સરકાર બજેટમાં પ્રવાસીવેરામાં 10 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેનો સીધો ફાયદો ટૂંક સમયમાં આમ જનતાને થશે. આગામી સમયમાં એસટી બસોના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. આ અંગે આગામી સપ્તાહે સરકાર દ્વારા જાહેરનામું બહાર પડાશે.
આનંદીબહેન સત્તામાં આવ્યા બાદ તબક્કા વાર રીતે એસટી, એએમટીએસ અને બીઆરટીએસ બસોના ભાડામાં ઘરખમ વધારો કરાયો હતો, જેને પગલે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. છેલ્લે એસટી બસોના ભાડામાં 15 ટકાનો વધારો કરાયો હતો.
લોકોમાં વધી રહેલા રોષને પગલે સરકારે બજેટમાં પ્રવાસીવેરો ઘટાડવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં વર્તમાન સમયમાં એસટી નિગમની બસો પાસેથી 17.5 ટકા પ્રવાસીવેરો વસૂલવામાં આવી રહ્યો છે. હવે સરકારે તેમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આથી એસટી બસ નિગમ પર 10 ટકાનું ભારણ ઘટતા તેનો સીધો લાભ પ્રજાને થશે.
આ લાભ રાજ્યની એસટી બસોમાં મુસાફરી કરતા અંદાજે 20 લાખ જેટલા મુસાફરોને મળશે. જેથી આ તમામ લોકોને આ નિર્ણયથી ભાડાં ઘટાડાનો ફાયદો મળશે.