દિવાળી પર ગુજરાત એસટી કરશે 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપ, લાખો મુસાફરોને થશે લાભ
શહેરી તેમજ છેવાડાના નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સુવિધા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બન્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે.

આગામી દિવાળીના તહેવારોમાં 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશે તેમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8000 થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે.
આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે.
દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે.
ગુજરાત એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800233666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે.












Click it and Unblock the Notifications
