ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠાની અસર યથાવત, શિયાળુ પાકને નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં બરડા અને ઘેડ પંથક સહિતના વિસ્તારોમાં સિંચાઈના પાણીની સમસ્યાનુ નિરાકરણ થતા ખેડૂતોએ 1.20 લાખ હેક્ટરથી પણ વધુ શિયાળુ પાકનુ વાવેતર કર્યુ છે. ચાલુ વર્ષે સારો વરસાદ થતા શિયાળુ પાક સારો થશે તેવી આશા ખેડૂતોએ સેવી હતી પરંતુ શિયાળામાં કડકડતી ઠંડીમાં અચાનક વાતાવરણ પલટો આવતા પડી રહેલા વરસાદને પગલે શિયાળુ પાક જેવા કે કપાસ, ઘઉને નુકશાન થઈ શકે છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો જેના કારણે શિયાળુ પાકને વ્યાપક નુકશાન થવાની સંભાવના છે. આ ઉપરાંત હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તરોમાં પણ વાતાવરણમાં પલટો આવતા માવઠુ પડ્યુ હતુ. જેના કારણે રવી પાકને નુકશાન થવાની સંભાવના છે.
હળવદ તાલુકામાં ખેડૂતો માટે રવી સિઝન મુખ્ય માનવામાં આવે છે ત્યારે રવિ સિઝન દરમિયાન જ હવામાન બદલાતા ખેડૂતોને રવિ પાક રાયડો, એરંડા, જીરુ બગડી રહ્યો છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાં ભેજનુ પ્રમાણ વધતા રવી પાકોમાં ફૂગજન્ય રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક તાલુકામાં પણ વરસાદી માવઠુ પડ્યુ હોવાના સમાચાર છે. વાદળછાયા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ભાવનગર, મહુવા, તળાજા, ઘોઘા, જેસર, ગારિયાધાર, પાલિતાણા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર વગેરે તાલુકામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળય્ુ હતુ અને કેટલાક તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતોને સાવચેતી રાખવા પણ જણાવવામાં આવ્યુ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ઠંડો પવન ફૂંકાતા તાપમાન ઘટી ગયુ છે જેના કારણે ઠંડીનુ પણ જોર વધી ગયુ છે.