Gujarat Weather: ગુજરાતને કાળઝાળ ગરમીથી મળશે રાહત, ગાજવીજ-આંધી સાથે પડશે વરસાદ, માછીમારોને સૂચના
Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમીના પ્રકોપ દરમિયાન આંશિક રાહત મળવાના સમાચાર છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ચોમાસુ વહેલુ દસ્તક દેશે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 45.2 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત, ભાવગનરમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડિગ્રી આસપાસ હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર સહિતનના જિલ્લાઓમાં 41 ડિગ્રી તેમજ રાજકોટ, કચ્છ, આણંદ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 25-30 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી જાહેરાત કરતા કહ્યુ છે કે 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ દસ્તક દેશે. ત્યારબાદ આગળ વધી 8થી 10 જૂન સુધી મહારાષ્ટ્ર અને 12થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થવાની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. વળી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જૂન સુધીમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે અને ત્યારબાદ 7થી 14 જૂને ચોમાસાનો વરસાદ થશે.












Click it and Unblock the Notifications
