Gujarat Weather: ગુજરાતમાં 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં મેઘમહેર
Gujarat Weather: રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદે વિરામ લીધો છે. જો કે, હવે અમદાવાદ હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે સાઉથ વેસ્ટ મોનસૂને આખા દેશને કવર કરી લીધો છે. સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય છે. ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદના કારણે જળાશયો છલકાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જેતપુરમાં સવા ઈંચ વરસાદ થયો છે.

આ ઉપરાંત મેંદરડામાં સવા 2 ઈંચ, ધ્રોલમાં પોણા 2 ઈંચ, કુતિયાણાાં 1.5 ઈંચ, ગારિયાધારમાં સવા ઈંચ, હાંસોટમાં ઈંચ, ધારીમાં પોણો ઈંચ, કલ્યાણપુરમાં પોણો ઈંચ, બાબરામાં પોણો ઈંચ, લિલિયામાં પોણો ઈંચ, કુંકાવાવમાં પોણો ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, જામકંડોરણામાં પોણો ઈંચ, જસદણમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં હળવા અને સામાન્ય વરસાદની સંભાવના છે. આ દરમિયાન સુરત અને ભરુચમાં ભારે વરસાદ થઈ શકે છે. જો કે, ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં વરસાદની ગતિવિધિ તેજ થવાની સંભાવના છે. 6 અને 7 જુલાઈ માટે ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 7 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે સુરત-તાપીમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, 4, 5 અને 6 જુલાઈએ માછીમારોને દરિયા ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લગભગ તમામ તાલુકાઓમાં સારા વરસાદને પગલે કુલ 206 જળાશયોમાં 38.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગયા વર્ષના 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે.
રાજ્યના 19 જળાશયો 100 ટકાથી વધુ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 ટકાથી 70 ટકા, 54 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે.












Click it and Unblock the Notifications
