Gujarat Weather: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. વળી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો તેમજ અમદાવાદમાં પણ વરસાદનુ જોર રહેવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે અરવલ્લી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

આઈએમડીના જણાવ્યા મુજબ 21 અને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરત અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયો તોફાની રહેવી સંભાવનાઓ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠાના માછીમારોને મનાઈ કરવામાં આવી છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે 7 દિવસની આગાહી કરીને જણાવ્યુ હતુ કે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ તેમજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં 26 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ગુજરાત પર સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે.
આજના દિવસ માટે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ તેમજ સુરત, ડાંગ, નવસારી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આજે વીજળીના કડાકા સાથે 30-40 કિમીની ઝડપે પવન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારનુ નિરીક્ષણ કરવા માટે આ વિસ્તારોની મુલાકાત લેશે. ત્યારબાદ જૂનાગઢમાં સમીક્ષા બેઠક યોજશે.
તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 7 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં માંગરોળ, માળિયા, જામજોધપુર, કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો છે.
માંગરોળના ઘેડ પંથકમાં જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. કમર સુધી પાણી આવી ગયા છે. મકાનો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોના ધોવાણ થઈ ગયા છે. જેના પગલે મગફળીના પાકને ભારે નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
