Gujarat Weather: હવામાનમાં આવશે ફરીથી પલટો, આ તારીખથી શરુ થશે સારો વરસાદ, જાણો આગાહી
Gujarat Weather: રાજ્યમાં હાલમાં ચોમાસુ સક્રિય નથી. ભારે વરસાદની પણ કોઈ આગાહી કરવામાં આવી નથી. જો કે, હવામાન વિભાગે સાત દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આગામી 26 તારીખથી રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યુ કે ઉપરના લેવલમાં ભેજ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે.

16 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 20 તારીખ પછી ચોમાસાની ધરી નીચે આવ્યા બાદ વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે, ભારે વરસાદની ક્યાંય સંભાવના નથી.
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 17 અને 18 ઓગસ્ટના રોજ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જો કે, આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નહિવત છે. ત્યારબાદ 19 અને 20 ઓગસ્ટના રોજ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગરહવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.
તમને જણાવી દઈએ કે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરે આપેલા અહેવાલો મુજબ રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80.29 ટકા નોંધાયો છે. કચ્છ ઝોમાં સૌથી વધુ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની 207 જળ પરિયોજનાઓમાં 74.24 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં 2,28,797 એમસીએફટી જળસંગ્રહ છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 77.47 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.25 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.06 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 65.68 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.86 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.












Click it and Unblock the Notifications
