ગુજરાતનો દરિયા કાંઠો હિન્દુસ્તાનના વિકાસના સૂર્યોદયથી ઝળહળતો થશે: મોદી
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ તીર્થક્ષેત્રમાં નવરચિત ગીર સોમનાથ જિલ્લાના અભિવાદન અને જન- ઉત્સવમાં સહભાગી થતાં વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે ગુજરાતનો 1600 કિ.મી. નો દરિયાકાંઠો વિકાસના સૂર્યોદયથી ઝળહળતો થવાનો છે. માત્ર ગુજરાતની આવતીકાલ જ નહીં, હિન્દુસ્તાનની આવતીકાલ સમૃદ્ધ બનાવવાની આપણી પ્રતિબદ્ધતા છે, તેમ તેમણે જણાવ્યું હતું.
દેશની સીમાઓ સાથે દરિયાઇ સુરક્ષા માટે ગુજરાતે કોસ્ટલ સિક્યુરીટી માટે જે પહેલ કરીને કોસ્ટલ પોલીસદળ રચ્યાં છે, તેથી દરિયાઇ સીમા સુરક્ષા પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્યના સાગરકાંઠાના નવા જિલ્લાઓ માટે દરિયાઇ સુરક્ષાની પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્યના સાગરકાંઠાના નવા જિલ્લાઓ માટે દરિયાઇ સુરક્ષાની પહેલ ગુજરાત સરકારે કરી છે.
રાજ્યમાં નવા સાત જિલ્લાઓ કાર્યરત થતાં મુખ્યમંત્રીનું અભિવાદન કરવા માટે યોજાતા અભિવાદન સમારોહના ઉપક્રમમાં આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભારતના દ્વાદશ જયોતિર્લિંગ પૈકીના એક એવા સોમનાથ તીર્થક્ષેત્રમાં શ્રી નરેન્દ્ર મોદીએ વિશાળ જનમેદની સાથે આનંદમાં સહભાગી બનીને ભકિતભાવથી ભગવાન સોમનાથમાં પૂજા - દર્શન કર્યા હતા.
નવરચિત ગીર સોમનાથ જિલ્લો વિકાસના અનેક નવા અવસરોની અસીમ સંભાવના ધરાવે છે, તેની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો અનુસાશનની કાર્યશૈલી ના હોય કે સામાન્ય માનવીનો અવાજ સંભળાય તેવી વ્યવસ્થા ન હોય તો લોકશાહીમાં સુરાજ્ય આવી શકે નહીં.
પાકિસ્તાને ગેરકાયદે કેદ કરેલાં ગુજરાત સહિતના ભારતીય માછીમારો સાથે જે ક્રુર - અમાનવીય વ્યવહાર થઇ રહયો છે અને કરોડો રૂપિયાની બોટો પકડીને કબ્જો જમાવે છે, તે અંગે ભારત સરકારની ઢીલી અને ઉપેક્ષિત નીતિ સામે મુખ્ય મંત્રીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભારત સરકાર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પાસેથી ભારતના ગરીબ માછીમારોની સુરક્ષાની ગેરેન્ટી અપાવે અને કિંમતી બોટો પાછી અપાવે તેવી રજૂઆત તેમણે કરી હતી.
દિલ્હીના શાસકોએ દેશને આર્થિક સંકટોમાંથી બહાર લાવવા લાચારી બતાવી છે ત્યારે ગુજરાતના માછીમારોમાં સામર્થ્ય છે કે, તેને પ્રોત્સાહન અને સુરક્ષા આપવામાં આવે તો મત્સ્ય નિકાસ કરી દેશને વિદેશી હુંડીયામણ પુરૂં પાડી શકે તેમ છે, પણ દિલ્હીની કેન્દ્ર સરકાર દિશાહીન છે, તેનામાં સંકટો ઉભા કરવાની વૃત્તિ છે, પણ સંકટોનું નિવારણ કરવાની કોઇ પરવાહ નથી, એવું તેમણે જણાવ્યું હતું.
આઝાદી પછી 60 વર્ષથી દેશના કર્ણધારોએ સુશાસન માટે ધ્યાન આપ્યું હોત તો દેશની જનતાએ સુશાસન માટે આશાની મીટ માંડી ના હોત પરંતુ સરદાર પટેલ એક એવા અવસરે યાદ આવે છે કે, આઝાદી પછીના લોકશાહી પ્રસાશનમાં સનદી સેવાઓને ભારતીય રૂપરંગ આપવાનું ભગીરથ કામ ભારતીય વહીવટ સુધારણારૂપે સરદાર સાહેબે કર્યું હતું.
અમદાવાદના મેયર તરીકે સરદાર પટેલે જ શહેરી વિકાસનું વિઝન અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મહિલાઓને 30 ટકા પ્રતિનિધિત્વ આપવા માટે તત્કાલિન અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઠરાવ કરેલો પણ અંગ્રેજ શાસનમાં બૃહદ મુંબઇ રાજ્યે આ ઠરાવ માન્ય નહોતો રાખ્યો. આથી સરદાર સાહેબના વહીવટી સુધારણા અને વિકેન્દ્રીત વહીવટના સપનાંને સાકાર કરવા નવરચિત ગીર સોમનાથ જિલ્લાનો પ્રારંભ એ સરદાર સાહેબને અદકેરી અંજલિ છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સાસણની આસપાસ રહેતાં ગીરના સાવજ સિંહોનું સામ્રાજ્ય વિસ્તરી રહયું છે અને આખી દુનિયામાં વન્ય પ્રાણીસૃષ્ટિનું અસ્તિત્વ ટકશે કે નહીં તેની ચિંતા થઇ રહી છે ત્યારે ગુજરાતનાં જનસમાજમાં પ્રાણીસૃષ્ટિના જતન માટેની વિશેષતા છે. સિંહોની વસતિ વધતી જ રહી છે. આથી જ ગીર સોમનાથ જિલ્લાની રચના મહત્વની બની રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાના જિલ્લાથી વહીવટની સુલભતા સાથે, જે રીતે સાડા છ કરોડની જનસંખ્યા થઇ છે ત્યારે આ સરકારે રાજ્યના બાવન પ્રાંત બમણાં કરી એકસો બે પ્રાંતની રચના કરી છે અને આજે ગુજરાત ૩૩ જિલ્લા સ્તંભ ઉપર પોતાની વિકાસ યાત્રા આગળ વધારશે, હવે જેમાં સાત નવા જિલ્લા સ્તંભ ઉમેરાયા છે.
મૂળ જુનાગઢ જિલ્લો અને નવો ગીર - સોમનાથ જિલ્લો નવા વહીવટી કાર્યભાર - કાર્યબોજ ઓછો કરશે અને વહીવટી શકિત બેવડાઇ જશે, એમ તેમણે જણાવ્યું હતું. દ્વારિકા, ગરવો ગિરનાર સોમનાથ, પોરબંદર આખો કોરિડોર દેશના પ્રવાસ શોખીનો માટે વિકાસની નવી ક્ષિતિજો ઝંખી રહયો છે, તેને નવું વહીવટીતંત્ર ઝડપથી સાકાર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાતના દરિયાકિનારાને હિન્દુસ્તાનની સમૃદ્ધિની આવતીકાલનું પ્રવેશદ્વાર બનાવાશે, એવો નિર્ધાર વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે, ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠે વિકાસનો સૂર્યોદય થશે. દરિયાકાંઠે દરિયાઇ શેવાળ (Sea Weed) ની ખેતી દ્રારા મહિલાઓના આર્થિક સશકિતકરણનું અભિયાન ઉપાડયું છે અને સાગરખેડૂ વિકાસ પેકેજ હેઠળ મિશન મંગલમ્ યોજના દ્વારા સખી મંડળો રચીને સાગરખેડૂ સમાજની બહેનો માટે આર્થિક પ્રવૃતિની નવી ક્ષિતિજો આકાર લઇ રહી છે.
નવા જિલ્લાઓની રચના સાથે પોલીસદળની નવી ભરતી થશે જેમાં ૩૦ ટકા મહિલા શકિતની પણ પારદર્શી ભરતી કરાશે એનો સ્પષ્ટ નિર્દેશ તેમણે આપ્યો હતો. ગુજરાતના સમુદ્ર કિનારે અફટ દરિયો ધૂધવતો હોવા છતાં ખારાશના દૂષણથી સમુ્દ્રકિનારે વિજળીના વાયરો, થાંભલા બદલવા રૂ.૪૫ કરોડનું બજેટ ખર્ચ્યું છે અને પાવર ટ્રાન્સમીશનોની લાઇનો - થાંભલા બદલી નાંખ્યા છે. સાગરકાંઠે નર્મદાનું પાણી પહોંચાડવાનું નેટવર્ક પહોંચાડયું છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પોતાના પ્રવચનમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ કહ્યું કે, વિકાસની નીતિને કારણે ગુજરાતનો આટલો વિકાસ થયો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પંચશકિતની આરાધનાનું આ પરિણામ છે. આ સરકારનું એક જ સૂત્ર છે, સૌનો સાથ - સૌનો વિકાસ, તેમ તેમણે કહયું હતું. જિલ્લા સહપભારી અને કૃષિ રાજ્ય મંત્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે, પાક વિમા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૦૬૯ કરોડ અનામત રાખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાક વિમા અંગેના આંકડા જાહેર કરવામાં આવતા નથી. જેથી વિમા ચૂકવણીમાં વિલંબ થઇ રહયો છે, તેમણે સિંહોના સ્થળાંતર અંગે મળેલી બેઠકની વિગતો પણ આપી હતી.
પ્રાસંગિક પ્રવચનમાં ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઇ પટેલે ગુજરાતમાં ગ્રામીણ વિકાસનો ચિતાર આપી કહ્યું હતું કે, ગાંધીજીના ગામડા અંગેના સ્વપ્નને આપણે સાકાર કરીએ છીએ. ગુજરાતમાં સમતોલ વિકાસ થયો છે, જે સમગ્ર ભારત તથા દુનિયાનું ધ્યાન ખેંચે છે. આવા સંજોગોમાં નવા જિલ્લાની રચનાથી વિકાસને વેગ મળશે. માધાભાઇ બોરીચાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ અવસરે કૃષિ મંત્રી બાબુભાઇ બોખીરીયા, સાંસદ દિનુભાઇ સોલંકી, ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, જે.ડી.સોલંકી, રાજેશભાઇ ચુડાસમા, અરવિંદભાઇ લાડાણી, પૂર્વ મંત્રી દિલીપભાઇ સંદ્યાણી, અને કનુભાઇ ભાલાળા, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ દિવીબેન બારીયા, પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરી સહિત પૂર્વ ધારાસભ્યો, અગ્રણીઓ અધિકારીઓ, ઉપરાંત જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.