પાટીદાર ન્યાય મહાપંચાયતઃ હાર્દિક પટેલે ફરીથી આંદોલનનું રણશીંગું ફૂંક્યું
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુરેન્દ્રનગરાના ધ્રાગંધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કર્યું હતું.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુરેન્દ્રનગરાના ધ્રાગંધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કર્યું હતું. શનિવારે સાંજે મોટી માલવણ ખાતે યોજાયેલ આ ન્યાય પંચાયતમાં પાટીદાર આંદોલન ફરીથી શરૂ કરવાના અણસાર પણ હાર્દિક પટેલે આપ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ સુસુપ્ત અવસ્થામાં આવી ગયેલા પાટીદાર આંદોલનને વેગ આપવાનો પ્રયાસ હાર્દિક પટેલે આ પાટીદાર ન્યાય મહાપંચાયત થકી કર્યો છે. પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાજપ અને કોગ્રેસ બંન્નેના ચૂંટાયેલા પાટીદાર સમાજના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતું, કૉંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા હતા જ્યારે, ભાજપના કોઇ ધારાસભ્ય હાજર રહ્યા નહોતા. જોકે, મોટી સંખ્યામાં લોકોની હાજરી ઉડીને આંખે વળગે તેવા પ્રકારની હતી. આ પાટીદાર ન્યાય મહાપંચાયતમાં ભાગ લેવા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા છે. જે જોતાં કહી શકાય કે, હાર્દિકને જાદુ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે.
આંદોલન બે કરોડ પાટીદારો કરી રહ્યા છે
પાટીદાર ન્યાય મહાપંચાયતના મંચ પરથી બોલતા હાર્દિકે પટેલે ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીદાર સમાજના રાજકીય નેતાઓને પણ આ પ્રસંગે આડેહાથ લીધા હતા. કહ્યું કે હજુ પણ એક જણા સમાજને તોડવાનું કામ કરે છે. ગુજરાતમાં અનામતની વાત કરી રહ્યા છે. આ લડાઈ ગરીબને છોકરાને મફતમાં શિક્ષણ મળે તેની લડાઈ છે. વિરોધ કરનારા ભાજપમાં સારો હોદ્દો લઈને બેસી ગયા. હાર્દિક પટેલે કહ્યું કે આંદોલન ચૂંટણી પુરતું ન હતું. જેલમાં જવું પડે છે, બદનામ થવું પડે છે. સમાજ માટે હું જેલમાં જવા માટે તૈયાર છું. આપણી લડાઇ ગરીબ ખેડૂતના દિકરાને સારુ શિક્ષણ મળે અને સારી નોકરી મળે તે માટે આ આંદોલન કરવામાં આવ્યું છે. આ આંદોલન હાર્દિક કરતો હોત તો ક્યારનું પણ પુરૂ થઇ ગયું હોત. આંદોલન તો ગુજરાતના 2 કરોડ પટેલો કરી રહ્યા છે.
ભાજપ-કૉંગ્રેસના નેતાઓને પર કર્યા પ્રહારો
હાર્દિક પટેલે પરેશ ધાનાણી પાટીદાર ન્યાય મહાપંચાયતમાં હાજર ન રહેતાં બળાપો કાઢ્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પાટીદાર છે. અહીંયા મંચ પર આવીને વાત કરવાની હતી. કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા સારી વાત છે પણ ગુજરાત વિધાનસભામાં તો પરેશ ધાનાણીએ જ કામને આગળ વધારવાનું હોય છે. તેમણે ખરા પટેલના દિકરા હોય તો હાજર રહેવાની જરૂર હતી. તો ભાજપના ધારાસભ્યો કે નેતાઓ હાજર ન રહેવા અંગે પણ તેણે જણાવ્યું હતુ કે, સારુ થયું તેઓ ન આવ્યા. જો ભાજપના ધારાસભ્યો આવ્યા હોત તો અહીંયાથી પાછા ન ગયા હોત. મારા 14 ભાઈઓને મારી નાંખ્યા અને તેઓ અહીંયા આવે તો શું થાય? હું તો ઉશ્કેરાઈ જ જાઉં અને પાછા જવા દઉં તો કણબીના પેટનો ન ગણાઉં.
મોદી મારા માટે હિટલર અને ફેંકુ છેઃ હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, હવે રેલીઓ અને ભાષણ કરવાનો સમય નથી રહ્યો હવે સંગઠનનો સમય આવ્યો છે. હુ તો રાજનીતી કરતો જ નથી. પરંતું, આપણો વિરોધ કરી જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બની ગયા. કદાચ હું રાજનીતી કરતો હોય તો અત્યાર સુધી કોઇ પાર્ટીમાં જોડાઇ ગયો હોત. ખેડૂત અને આંદોલન માટે હુ આખા ગુજરાતમાં ફરીશ જે થાય એ કરી લેજો. કદાચ 11 અમિત શાહ આવી જાય તોય હુ તો અમિતીયો જ કહીશ. અને કદાચ પ્રધાનમંત્રી જો 14 પાટીદાર છોકરાઓના જીવ લેતા હોય તો, એ મારા માટે તો હિટલર અને ફેકું જ છે. કમલમ ખાતેથી ભાજપના ધારાસભ્યોને તાનાશાહની રજા નહી મળી હોય તેમ કટાક્ષ પણ કર્યો હતો.
રાજ્યમાં ફરીથી આંદોલન ઉભરશે
હાર્દિક પટેલની વિધાનસભા ચૂંટણી બાદ યોજાયેલી આ પ્રથમ જાહેર સભામાં મોટી સંખ્યામાં રાજ્યના ખુણે ખુણેથી પાટીદારો ઉમટ્યા હતા. ત્યારે, ફરીથી રાજ્યમાં પાટીદાર આંદોલન નવેસરથી ઉભરે અને લોકસભાની ચૂંટણીમાં અસરકારક થાય તો નવાઇ નહીં.