હાર્દિક પટેલે કેસરિયા કર્યા, સીઆર પાટીલની હાજરીમા ભાજપમાં જોડાયા!
પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આખરે ભાજપનાં જોડાઈ ગયા છે. હાર્દિકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પક્ષનું સભ્યપદ સ્વીકાર્યુ છે.
પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આખરે ભાજપનાં જોડાઈ ગયા છે. હાર્દિકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પક્ષનું સભ્યપદ સ્વીકાર્યુ છે. આજે સવારે પાર્ટી જોઈન કરતા પહેલા હાર્દિક પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેણે લખ્યુ હતું કે, રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.
હાર્દિક પટેલે કહ્યું કે મેં આજદિન સુધી પદના લોભમાં ક્યાંય કોઈ પ્રકારની માંગણી કરી નથી. મેં કોંગ્રેસ પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામની વ્યાખ્યામાં જોડાઈ રહ્યો છું. નબળા લોકો સ્થાન વિશે ચિંતા કરે છે. મજબૂત લોકો ક્યારેય સ્થાનની ચિંતા કરતા નથી. હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે, ટૂંક સમયમાં દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યો, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યોને જોડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ટીકા કરી હતી.
રાજીનામાના પત્રમાં હાર્દિક પટેલે લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સિમિત રહી ગઈ છે. જ્યારે દેશની જનતાને એવો વિકલ્પ જોઈએ છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે અને આપણા દેશને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં આગળ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની વાત હોય, દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઈચ્છો હતો. પરંતુ, કોંગ્રેસ આમાં માત્ર અડચણરૂપ જ કામ કરતી રહી. કોંગ્રેસનું વલણ માત્ર કેન્દ્રનો વિરોધ કરવા પુરતું જ સીમિત હતું.