વિસનગર કેસમાં હાર્દિક પટેલને ગણતરીની કલાકોમાં મળ્યા જામીન
કોર્ટે કલાકોની ગણતરીમાં જ હાર્દિક પટેલ અને લાલજી પટેલને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે.
પાટીદાર અનામત આંદોલનની રેલી દરમિયાન વિસનગરમાં હિંસા ભડકી ઉઠી હતી. 23 જુલાઈ 2015ના રોજ થયેલ આ હિંસામાં ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને અન્ય એક વ્યક્તિની કાર પણ સળગાવી દેવામાં આવી હતી. વિસનગર સેશન્સ કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને આઈપીસીની કલમ 147, 148 અને 149 સહિતની ધારા અંતર્ગત 2-2 વર્ષની જેલ અને 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ કેસમાં કુલ 17 લોકો સામે ગુનો નોંધાયો હતો જેમાંથી કોર્ટે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. જો કે કોર્ટે કલાકોની ગણતરીમાં જ હાર્દિક પટેલ અને લાલજી પટેલને જામીન આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે કોર્ટ પરિસરમાં જ સ્થાનિક લોકોએ હાર્દિક પટેલ સાથે ઝપાઝપી કરી હતી, અને કોર્ટ પરિસરમાં જ વાતાવરણ બગડતાં પોલીસ દોડી આવી હતી અને હાર્દિક પટેલને સલામત રીતે કારમાં બેસાડ્યો હતો.
જામીન મળ્યા બાદ હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. દરમિયાન હાર્દિકે કહ્યું કે સરકારથી થાય તે કરી લે, મારાથી થાય તે હું કરીશ. સરકાર અંગ્રેજ બનશે તો મને પણ ભગતસિંહ બનવામાં વાંધો નથી. ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડ્યે ચૂંટણી લડવાના સંકેત દર્શાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોનું દેવુ માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલે 25મી ઓગષ્ટથી અમરણાંત ઉપવાસ પર ઉતરવાની ઘોષણા કરી છે. હાર્દિકે અમદાવાદમાં અમરણાંત ઉપવાસ કરવા માટેની માંગી છે. કહ્યું કે, "હું તમામ સમાજને સાથે રાખીને લડવાનો છું, આ લડાઈ ઈતિહાસ બદલી નાખશે."
સરકાર પર આરોપો લગાવતા હાર્દિકે કહ્યું કે જયંતી ભાનુશાળીનો દળાત્કારનો કેસ દબાવવા માટે સરકાર અમારી સામે આવા ચુકાદા અપાવે છે. હાર્દિકે કહ્યું કે, "આંદોલન શરૂ કર્યું ત્યારથી જ માથા પર કફન બાંધીને લડી રહ્યો છું. જો સરકારને એમ હોય કે હાર્દિક પટેલને સજા થઈ હોવાથી તે આગામી લોકસભા નહીં લડે તો તેઓ ખોટું વિચારી રહ્યા છે, જરૂર પડ્યે હુ્ં લોકસભા ચૂંટણી પણ લડીશ." ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક ચૂંટણી લડે તેવી અટકળો સેવાઈ રહી હતી પણ ઉંમર ઘટતી હોવાના કારણે તે ચૂંટણી નહોતો લડી શક્યો.