ગુજરાત હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સામેના કેસમાં સ્ટે મુક્યો
ન્યાયમૂર્તિ એસ.આર. બ્રહ્મભટ્ટે આદેશ આપ્યો છે કે સંજીવ ભટ્ટ સામેના કેસમાં વધુ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી સ્ટે ઓર્ડર લાગુ રહેશે. જજે સુનાવણી માટેની તારીખ 2013ના મે મહિનામાં પહેલા અઠવાડિયામાં નક્કી કરી છે.
વર્ષ 1997માં જ્યારે ભટ્ટ પોરબંદરમાં એસપી તરીકે ફરજ પર મૂકાયા હતા ત્યારે કસ્ટડીમાં કેદીના મરણની ઘટના બની હતી. ભટ્ટ ઉપરાંત વજુભાઈ ચાઉ નામના એક કોન્સ્ટેબલ સામે પણ કેસ ચાલે છે. નારણ સુધા જાદવ નામના કેદીનું કસ્ટડીમાં કથિતપણે અત્યાચારને લીધે મરણ થયું હતું. જાદવને પાકિસ્તાનમાંથી શસ્ત્રો તથા આરડીએક્સની દાણચોરીના કેસમાં ઈન્સ્પેક્ટર એમ.જે. પરમારે ધરપકડ કરી હતી અને તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પોરબંદરની જેલમાં લઈ જવામાં આવ્યો હતો.
જાદવે પોરબંદરમાં જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી કે ભટ્ટ અને ચાઉ તેની પર અત્યાચાર કરે છે. ભટ્ટે તપાસનીશ અધિકારીની ડાયરીઓ પોતાને આપવાની માગણી કરતી અરજી મેજિસ્ટ્રેટ સમક્ષ કરી હતી. મેજિસ્ટ્રેટે ગયા વર્ષના સપ્ટેંબરમાં તેમની અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ ભટ્ટે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
2002ના રમખાણોને સંભાળવાના સંબંધમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે આરોપ કર્યો છે ત્યારથી ભટ્ટ સમાચારમાં ચમક્યા છે.