હાઇકોર્ટે અદાણી ગુજરાત સરકારને જમીન મુદ્દે નોટિસ ફટકારી
અરજદાર શબ્બીર અહમદ ખલીફાએ રિટમાં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે કચ્છનાં મુન્દ્રા ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને વિકાસનાં કામો માટે અદાણી ગુ્રપને આઠ હજાર હેકટર જમીન લીઝ પર આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તે સમયે એક ઠરાવ બહાર પાડી આ વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઠરાવમાં એવી શરત પણ મુકવામાં આવી હતી કે જો અદાણી દ્વારા બે વર્ષમાં આ જમીન પર ઉત્પાદન શરૂ કરવામાં નહી આવે તો તમામ જમીન સરકાર હસ્તક જતી રહેશે.
અદાણી દ્વારા શરતોનો ભંગ કરી 2007 સુધી ઉકત જમીન પર કોઇ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી ન હતી. આ બાબતને અવગણી સરકારે બે વર્ષનાં શરત કરારને વધારીને ત્રણ વર્ષ કરી આપ્યો હતો અને જમીન પર પ્રવૃત્તિ શરૂ કરવા 2008 સુધી સમયાવધિ નક્કી કરી હતી. 2008માં ફરીથી ગુજરાત સરકારે અદાણીને વધુ બે વર્ષ માટે જમીનની લીઝ વધારી આપી હતી. જો કે વર્ષ 2010માં અદાણી દ્વારા સેઝ ખાતે કોઇ પણ પ્રવૃત્તિ શરૂ ન કરાતા શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી.
પરંતુ કોઇ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત 20 જૂન 2012નાં દિવસે ગુજરાત સરકારે તમામ કાયદાઓથી ઉપરવટ કરીને એક નવો ઠરાવ બહાર પાડયો હતો. જેની અંતર્ગત અદાણીને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વિકસાવવા વધુ દસ વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવી હતી. અરજદારે ગુજરાત સરકારના આ નિર્ણયને પડકારતી રિટ કરી હતી અને લીઝ પર આપવામાં આવેલી જમીન સરકાર હસ્તક કરવાની દાદ માંગી હતી.આ રિટ અંગે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડ પીઠ સમક્ષ બે સપ્તાહ પછી નિયત રાખવામાં આવી છે.