ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલે આ રીતે લૂંટ્યું ગુજરાતનું રાજભવન
ગાંધીનગર, 31 જુલાઇ : મિઝોરમના રાજ્યપાલ કમલા બેનિવાલે ગુજરાતના ગવર્નર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના સાધનોનો ઉપયોગ કરીને ખૂબ ઉડાનો ભરી છે. એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ અનુસાર ગુજરાતના રાજ્યપાલ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન કમલા બેનિવાલે 63 વાર સરકારી વિમાનનો ઉપયોગ કર્યો હતો અને ગુજરાતની બહાર ઉડાન ભરી હતી.
આ ઉપરાંત કમલા બેનિવાલે વર્ષ 2009થી 2014 સુધી ત્રિપુરા અને ગુજરાતના ગવર્નર તરીકે 497 દિવસ રાજ્યની બહાર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં તેમની બદલી મિઝોરમમાં કરી છે.
ગુજરાતના રાજભવનના રિપોર્ટને ટાંકીને સમાચાર પત્રએ લખ્યું છે કે ગુજરાતના રાજ્યપાલ તરીકે કમલા બેનિવાલે વર્ષ 2011થી 2014 વચ્ચે 63 વાર સરકારી વિમાનનો ઉપયોગ કર્યો છે. તેમાંથી 53 ઉડાનો કમલા બેનિવાલે પોતાના ગૃહનગર જયપુર માટે હતી. જ્યારે 10 ઉડાનો દિલ્હી માટે હતી. તેમણે કુલ 277 કલાક ઉડાન ભરી હતી. મહત્વની બાબત એ છે તે તેમાંથી મોટા ભાગની યાત્રાઓ સત્તાવાર યાત્રા તરીકે નોંધવામાં આવી છે.
રાજ્યપાલની આ 'સત્તાવાર સરકારી' યાત્રાઓ માટે ગુજરાત સરકારના 9 સીટર વિમાન સુપર કિંગ બીચક્રાફ્ટ 200નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેશુભાઇ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનકાળ 1999માં તેને ખરીદવામાં આવ્યું હતું. 15 વર્ષનું આયુષ્ય ધરાવતા આ વિમાનને આ વર્ષે ડિસેમ્બરમાં બંધ કરી દેવામાં આવશે.
સમાચાર પત્રના સૂત્રોનું કહેવું છે કે આ યાત્રોઓનો ખર્ચ અંદાજે 1.5 કરોડ રૂપિયા છે. બેનિવાલે પોતાના ગૃહનગર જયપુરની યાત્રાને પણ સરકારી ગણાવી છે.
વર્ષ 2009માં ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા ત્યાર પછી તેમની બદલી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ 497 દિવસ રાજ્યની બહાર રહ્યા હતા. તેમાં માત્ર 12 યાત્રાઓ પ્રાઇવેટ ગણાવવામાં આવી છે. વર્ષ 2010, 2011 અને 2013માં દર વર્ષે તેમણે 100થી વધારે દિવસ રાજ્યની બહાર જ વીતાવ્યા છે.
આ આંકડા રાજભવનના આંતરિક રેકોર્ડ્સ પર આધારિત એક રિપોર્ટનો ભાગ છે. કેન્દ્ર સરકાર હવે આ રિપોર્ટ પર વિચાર કરી રહી છે.
ગુજરાતના ગવર્નર તરીકે બેનિવાલના સંબંધ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સાથે તણાવપૂર્ણ રહ્યા હતા. રાજ્યપાલ અને મોદી સરકાર વચ્ચે લોકપાલ સહિતના અનેક બિલ મુદ્દે અસહમતી રહી હતી. ગુજરાતમાં તેમનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થવાનો હતો. જો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવતા જ તેમની બદલી મિઝોરમ કરવામાં આવી હતી.