ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાં ‘આપ’નો પાયો કઈ રીતે મજબૂત કરશે?
ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાં ‘આપ’નો પાયો કઈ રીતે મજબૂત કરશે?
તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપે બાજી મારી પરંતુ સુરતમાં 'આમ આદમી પાર્ટી'એ પ્રભાવક પરફૉર્મન્સ કર્યું છે. પાર્ટીને 27 બેઠકો મળી અને તેઓ વિપક્ષ તરીકે ફરજ અદા કરશે.
વળી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં જેમણે નોંધપાત્ર જીત મેળવી છે અને સુરતમાં જેમને મુખ્ય વિપક્ષ તરીકેની ભૂમિકા મળી છે તે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બીબીસી સાથે વાતચીત કરી.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ મુદ્દે વાતચીત કરી. જેમાં શું હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં? ગોપાલ ઇટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે? ભાજપ અને દિલ્હીના વિકાસમાં શું ફેર છે? વગેરે મુદ્દે વાત કરી હતી.
સવાલ : 2022 માટે શું તૈયારી શરૂ કરી છે?
ઉપરોક્ત સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું, "આજે અમે મિશન 2022 અંતર્ગત સદસ્યતા અભિયાન એટલે કે સભ્ય નોંધણી અભિયાન લૉન્ચ કર્યું છે, જેમાં અમે એક નંબર લૉન્ચ કર્યો છે -72 8003 8003. આવનારા 50 દિવસોમાં 50 લાખ નવા કાર્યકર્તાઓને મિશન 2022 અભિયાન હેઠળ જોડાવાનુંલક્ષ્ય છે."
સવાલ : 50 દિવસમાં 50 લાખ લોકોને જોડવા તમને થોડું વધારે નથી લાગતું?
જવાબ : આંકડો મને એવું લાગે છે કે બહુ નાનો છે. ગુજરાત છ કરોડ લોકોનું છે અને અમે ખાલી 50 લાખનો જ આંકડો આપ્યો છે. અમે ટાર્ગેટ મોટો સેટ કર્યો છે, એટલે અમારી મહેનત કરવાની ધગશ, અમારી હિંમત મોટી છે એમ એના ઉપરથી સમજવું જોઈએ. નાના નાના ટાર્ગેટ રાખે એનું કામ પણ નાનું રહે. એટલે જેનો ટાર્ગેટ મોટો હિંમત મોટી અને મહેનત મોટી એનું સપનું મોટું અને એની મંજિલ મોટી. ગુજરાતની જનતા છ કરોડ છે આમ ટાર્ગેટ નાનો છે અને તમે જો મોટો કહેતા હોય તો અમારી હિંમત મોટી છે સપનું પણ મોટું છે એટલે આંકડો પણ બરાબર છે.
સવાલ : 2020ની વિધાનસભાની ચૂંટણી તમે ક્યાંથી લડશો?
જવાબ : વિધાનસભામાં આમ આદમી પાર્ટી 182 સીટ પરથી લડવાની છે. મારી ઇચ્છા એ છે કે 182 સીટ પર આપ ઊભું રહે અને આપ જીતે.
સવાલ : તમારી લડવાની ઇચ્છા છે કે નહીં અને છે તો ક્યાંથી છે?
જવાબ : મારી લડવાની ઇચ્છા ન હોય એવું બને જ નહીં. જો અભણ અંગૂઠાછાપ, પેઢીદર પેઢી, સાવ કહેવાય કે જેને કાંઈ ખબર ન પડતી હોય આવા લોકો નેતા બનતા હોય તો હું તો ક્વૉલિફાઇડ માણસ છું, ભણેલો છું, યુવાન છું, દેશના આજના અને આવતીકાલના પ્રશ્નોને સમજી શકું છું. તો હું તો ચૂંટણી લડીશ જ. લડવું પણ જોઈએ. એટલે એવો સવાલ ક્યારેય નથી કે હું ચૂંટણી નહીં લડું.
સવાલ : તમારો બેઝ સુરતમાં છે તો તમે ચૂંટણી ક્યાંથી લડશો?
જવાબ : મારો બેઝ ગુજરાત છે, ગુજરાતના યુવાનો છે અને ગુજરાતની સમસ્યા મારો બેઝ છે. વિધાનસભા કેમ નહીં લડીએ? શું કામ નહીં લડીએ? અંગૂઠાછાપ ચૂંટણી લડીને મંત્રી બને તો હું ભણેલો માણસ શું કામ ચૂંટણી ન લડું. વટથી ચૂંટણી લડીશું. અને હું એકલો ચૂંટણી નહીં લડું. હજારો લાખો યુવાનોને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત પણ કરીશ. આમ આદમી પાર્ટીનું પ્લૅટફોર્મ આપવાની કોશિશ કરીશું અને નેતા પણ બનાવીશું.
સવાલ : તમે મોહલ્લા ક્લિનિક અમદાવાદ, રાજકોટ અને સુરતમાં શરૂ કર્યા હતા. તમારું પ્રદર્શન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રમાણમાં સારું રહ્યું છે તો તમે શરૂ કરશો.?
જવાબ :આ અમારો ટ્રાયલ બેઝ છે. મોહલ્લા ક્લિનિક અમદાવાદમાં ખોલવામાં આવ્યું હતું. માત્ર બે દિવસના ટ્રાયલ બેઝ માટે ખોલવામાં આવ્યું હતું. એ ટ્રાયલ એટલા માટે હતું કે જો અમે સરકારમાં કૉર્પોરેશનમાં આવીશું તો આવા પ્રકારની સુવિધાઓ આપીશું. એ બતાવવા માટેનો ટ્રાયલ હતો. હવે અમે જ્યારે સરકારમાં નથી કેમ કે મોહલ્લા ક્લિનિક ચલાવવા સંશાધન જોઈએ. સ્ટાફ જાળવવો પડે તેમનો પગાર જોઈએ. સ્વભાવિક છે કે 'આપ' પાર્ટી ભાજપ કૉગ્રેસની જેમ ભ્રષ્ટાચાર કરતી નથી પાર્ટી ચલાવવાના પૈસા પણ નથી.
સવાલ : 2000 જેટલા ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભા રાખ્યા તે પાર્ટી મોહલ્લા ક્લિનિક તો ચલાવી શકે ને?
જવાબ : સારું થયું કે તમે આ સવાલ ભાજપને નથી પૂછ્યો એટલા માટે અભિનંદન આપું છું કે આવું પૂછવું નહીં. મને પૂછ્યુ, મને ખુશી થઈ. તમે એટલે પુછ્યું કે તમે માનો છો કે આ 'આપ'ની જવાબદારી છે કે ભાજપથી કાંઈ થાય એમ નથી.
'ના ના એમને પણ પૂછીશું...'
જવાબ : મને ગર્વ થયો કે તમને ભરોસો છે કે આ કામ આમ આદમી પાર્ટી જ કરશે વિપક્ષમાં હોવા છતાં અમે જ કરવાના તમે જે ભરોસો જતાવ્યો એટલે હું તમારો આભાર માનું છું.
જો આપની સરકાર આવશે તો ચોક્કસ શરૂ થશે આ સેવા અને આરોગ્યની સારી સુવિધા પણ મળશે.
સવાલ : સુરતમાં સારી સીટ આવી તો, નથી લાગતું કે મોહલ્લા ક્લિનિક શરૂ કરાય જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળે?
જવાબ : હું કહી દઉં કે અમે જ્યાં મુખ્ય વિપક્ષ છે ત્યાં શું કામ ચાલુ કર્યું છે. અમે સુરતમાં રૅશનકાર્ડ જાગૃતિ અભિયાન, વોર્ડ લેવલના કાર્યકર્તા, અમે તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા ઉમેદવાર તમામને રૅશન કાર્ડની ટ્રેનિંગ આપી. હવે લોકોના ઘરે જઈને રૅશન કાર્ડના પ્રશ્નો સોલ્વ કરવાના છે. અમારા કાર્યકર્તા સરકારી કામગીરી સમજી લે. પછી તે સામાન્ય માણસને ઉપયોગી થાય. મોહલ્લા ક્લિનીક બનશે, લાઇબ્રેરી બનશે, દવાખાના શાળા બધુ બનશે. એના માટે ધીરજ અને ધગશ જોઈશે. અમે ધીરે ધીરે કામ કરી રહ્યા છીએ. તમને જે ભરોસો છે કે 2022માં આવીને મોહલ્લા ક્લિનીક બનાવીશું એ પણ પૂર્ણ થશે.
સવાલ : વડા પ્રધાને પણ ઉજવલ્લા થકી મહિલાઓને ગૅસ કનેક્શન આપ્યાં છે?
જવાબ : વડા પ્રધાનનો આભાર આના માટે. અમે સારી બાબતોને સ્વીકારીશું. અમારે એટલું જ કહેવું છે કે તમને અમારી પર જે ભરોસો છથે તે અમે સાબિત કરીશું.
સવાલ : હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે?
જવાબ : એ તો હાર્દિકને પૂછવું જોઈએ.
સવાલ : હાર્દિક પટેલ જોડાશે તો વેલકમ કરશો?
જવાબ : એ જોડાશે કે નહીં એ (હું) કેવી રીતે કહીશ.
સવાલ : જો હાર્દિક પટેલ જોડાશે તો તમે એમને વેલકમ કરશો?
જવાબ : આમ આદમી પાર્ટીમાં દરેક ઇમાનદાર, દેશપ્રેમી સારી ભાવનાવાળા લોકો માટે જગ્યા છે.
સવાલ : હાર્દિક ઇમાનદાર છે?
જવાબ : તમે એમને પૂછો. અમે નેતાઓને જોડવાનું અભિયાન ચાલુ કર્યું નથી. અમે કાર્યકર્તા જોડવાનું અભિયાન ચાલુ કર્યું છે. સદસ્યતા કોની હોય. આજે ગુજરાતમાં નેતાઓ ઘણા છે.
સવાલ : હાર્દિક પટેલને તમે નેતા માનો છો કે કાર્યકર માનો છો?
જવાબ : હું શુ માનું મહત્ત્વનું નથી. જનતા માને એ મહત્ત્વની છે. આવી કોઈ વાત થઈ નથી. હાલ એમના તરફથી કે બીજા કોઈ પાસે જોડાવા અંગે વાત નથી થઈ.
સવાલ : તમે જે સીટ જીત્યા તેની પર ભાજપે કહ્યું આટલી સીટ અપક્ષ પણ જીતે છે?
જવાબ : મોટી વાત નથી છતાં ભાજપવાળા એ આટલી નોંધ લીધી છે. એજ દર્શાવે છે કે ભાજપે નોંધ લીધી છે. જો અપક્ષ જ આટલી સીટ જીતતા હોય તો સી.આર.પાટીલે રાત્રે ટ્વીટ ન કર્યું હોત. કેમ વિજયભાઈ રૂપાણી પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપે છે? એ બતાવે છે કે મોટી નહીં બહુ મોટી વાત છે. પણ એ લોકો પોતાની પીડા છુપાવવા માટે આવા જવાબ આપે છે.
સવાલ : આપમાં જોડાયા પહેલાં તમારી ઓળખ રેશનલ યુવાનની હતી. ધાર્મિક બાબતમાં પોતાનું સ્ટેન્ડ કલિયર કરતા કેટલીક બાબતમાં તમે વિરોધ પણ કરતા. ચૂંટણી પ્રચારમાં મંદિરમાં દર્શન કરતા જોવા મળ્યા, બેઠકે જાવ છો?
જવાબ : બધે જવાનું અને બધે જતા આવ્યા છીએ. રેશનલનો અર્થ તમે તમારી રીતે જે કાઢોએ. મને ખબર નથી. હું સ્પષ્ટ છું. વડોદરામાં પણ હમણાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામૂહિક આત્મહત્યાનો એન્ગલ હતો. અંધશ્રદ્ધાનો વિરોધી આજે છું અને રહીશ. મારી બાબતોને બીજાએ કેમ સમજી છે એનો ક્યારેય જવાબ મળવાનો નથી. હું મારી રીતે સ્પષ્ટ છું. અંધશ્રદ્ધાને માનતો નથી.
સવાલ : ધર્મનિરપેક્ષતા શબ્દ વપરાતો ઓછો થઈ ગયો છે આ મામલે શું કહેશો?
જવાબ : મારું તો એજ કહેવું છે કે ધર્મનિરપેક્ષતા ધર્મસાપેક્ષતા કરતા માણસની પહેલી જરૂરિયાત શેની છે? શાળા, દવા, રોજગાર છે. પેટની અંદર અનાજ પડે એની છે, ખેડૂતને શેની જરૂર છે. વિદ્યાર્થીને શેની જરૂર છે? વાલીને શેની જરૂર છે? એની ચર્ચા કેમ નથી થતી? માણસને જીવવા માટે આત્મસન્માન જોઈએ. બહેનો વડીલોને સારું જીવન જીવવા શું જોઈએ છે? એની ચર્ચા મીડિયામાં કે રાજકારણમાં કેમ નથી થતી. એટલે જ કહું છું કે માણસ સન્માનપૂર્વક જીવન જીવી શકે. આજે સરકારી કચેરીમાં જઈએ તો આપણું અપમાન થાય છે. અધિકારી ધક્કા ખવડાવે તો આ અપમાન સાથે માણસ જીવન જીવશે કે આત્મસન્માન સાથે જીવન જીવવા માગશે.
સવાલ : દલિત આદિવાસીઓની જમીનનો મુદ્દો પેચીદો છે?શું આનો પ્રશ્ન ઉઠાવશો?
જવાબ : બિલકુલ, દરેક અન્યાયની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવશે. દરેકના અધિકાર માટે આપ અવાજ ઉઠાવશે. દેશના બંધારણમાં હક આપ્યા છે તેના માટે આપ છે. દલિત અને આદિવાસી તમામ લોકોના અધિકાર માટે અવાજ ઉઠાવીશું.
સવાલ : આપનું વિકાસ મૉડલ અને ભાજપનું વિકાસ મૉડલ આ બંને વચ્ચે શું ફરક છે?
દિલ્હીના વિકાસ મૉડલમાં દિલ્હીની જનતાનો વિકાસ થયો છે અને ગુજરાતના વિકાસના મૉડલમાં ભાજપનો વિકાસ થયો છે. આ બે ફરક છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો