ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, વાલીઓના જીવ થયા અધ્ધર, વાપસી માટે સરકાર કાર્યરત
યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.
અમદાવાદઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં યુદ્ધની ભયંકર સ્થિતિ ચાલી રહી છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા ત્યાં અભ્યાસ કરવા ગયેલા એમબીબીએસ અને એરોનૉટીક્સ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. યુક્રેન અને રશિયા વચ્ચે પરિસ્થિતિ વણસી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ક્યાંકને ક્યાંક ત્યાં ગયેલા વિદ્યાર્થીઓની જીવન પણ જોખમમાં છે. યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

સુરતમાં ગુરુવારે આઠ વાલીઓએ ક્લેક્ટરને રજૂઆત કરી કે યુક્રેનથી અમારા બાળકોને સુરક્ષિત પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. વાલીઓએ 10 વિદ્યાર્થીની યાદી આપી છે જ્યારે આવા કુલ 61 વિદ્યાર્થીઓની યાદી બનાવીને કલેક્ટરે વિદેશ મંત્રાલયને પહોંચાડવાની કાર્યવાહી કરી છે. સુરતમાં કોચિંગ ક્લાસના સંચાલકો વિદ્યાર્થીઓને વિદેશ મોકલે છે ત્યારે સુરતમાં ક્લાસીસને ધ્યાને લઈને આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાની સંભાવના છે. સુરતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે વાલીઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ છે. યુક્રેનથી વિદ્યાર્થીઓએ વીડિયો કૉલ કરીને પોતાની આપવીતી વર્ણવી હતી અને તેમને તાત્કાલિક પાછા લાવવાની વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી હતી.
મહેસાણાના 20થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
ઉત્તર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ચિંતા અને ઉચાટનો વધારો થયો છે. તંત્રને મળેલી પ્રાથમિક વિગતો મુજબ મહેસાણાના 14, પાટણના 30, બનાસકાંઠાના 20, સાબરકાંઠાના 2 અને અરવલ્લી 3 મળીને કુલ 69 છાત્રો ફસાયા છે. તમામ છાત્રોના વાલીઓ પોતાના બાળકોને સરકાર વિશેષ પ્લેન મારફતે પાછા લાવે તેવી વિનંતી કરી રહ્યા છે. પાટણના 30 વિદ્યાર્થીઓને પાછા લવાય તેવી રજૂઆત કરવામાં આવી છે. પાટણના છાત્રોએ કહ્યુ કે ઘરમાં કરિયાણુ નથી અને ખિસ્સામાં પૈસા પણ નથી. વળી, પાલનપુરના છાત્રોએ કહ્યુ કે ફ્લાઈટની ટિકિટ બુક થઈ ગઈ હતી પરંતુ યુદ્ધના કારણે વિમાન સેવા બંધ થઈ જતા ફસાઈ ગયા છે. વાલીઓ સતત તેમના બાળકોના સંપર્કમાં છે.
જામનગરના 4 વિદ્યાર્થીઓ ફસાયા
જામનગરના મેડિકલમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનો કૉન્ટેક્ટ કરવામાં આવ્યો છે. જામનગરના વિદ્યાર્થીઓ મેગાસિટીની બહાર છે માટે સુરક્ષિત છે તેવુ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે. વળી, જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતુ કે જામનગરના ચારેય વિદ્યાર્થીઓ હાલમાં સેફ છે અને તેમની સુખરુપ વાપસી માટે સરકાર કાર્યરત છે.












Click it and Unblock the Notifications
