અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં 3 અંગદાન, 9 લોકોને નવી જીંદગી મળી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં લગોલગ ત્રણ અંગદાન થયા છે. આ ત્રણ અંગદાન માં મળેલા 9 અંગોએ 9 જરૂરિયાતમંદોને નવજીવન આપ્યુ છે.
કહેવાય છે કે જીવન અને મરણ ભગવાનના હાથમાં છે પરંતુ અમદાવાદ સિલિવ હોસ્પિટલના તબીબો હાલ પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવીને જરૂરિયાતમંદને નવજીવન બક્ષી રહ્યા છે.

ગુજરાતમાં કોઈપણ જીવંત વ્યક્તિને અંગોનું દાન ન કરવું પડે અને બ્રેઇન્ડેડ થતા દર્દીના પરિવારજનોના અંગદાનના નિર્ણયથી કોઈકને નવું જીવન મળી શકે તેવા શુભ આશાય સાથે સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
ઉનાળામાં ૩૬ થી ૩૮ ડિગ્રી તાપમાન વચ્ચે કોઈક વ્યક્તિના અંગોના દાનથી કોઈક પીડિતે નવુ જીવન મળે તેવા પ્રયાસો હાથ ધરીને હોસ્પિટલના તબીબો દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અંગદાનમાં સફળતા મેળવીને નવ લોકોને નવજીવન આપ્યું છે.
7 મેંના રોજ થયેલા અંગદાનમાં ૨૫ વર્ષના મનોજભાઈને અકસ્માત થતાં માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. જેના પરિણામે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અર્થે દાખલ કરાયા હતા. તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહીં.
આ દરમિયાન તબીબોને મનોજભાઇના બ્રેઇન્ડેડ થયાની જાણ થતા સિવિલ હોસ્પિટલના અંગદાનની ટીમે મનોજભાઈના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. જે બાદ પરિવારજનોએ આમ કરવા સંમતિ દર્શાવી હતી.
મનોજભાઈના અંગદાન થકી બે કિડની અને લીવરનું દાન મળ્યું. જેને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આમ મનોજભાઈ બીજા ત્રણ વ્યક્તિઓને કાર્યક્ષમ જીવન પ્રદાન કરતા ગયા.
સિવિલ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, પરિવારજનોની માનવીય સંવેદના અને સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી આજે અમદાવાદમાં અંગદાનની સરવાણી વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ અને અંગદાતા પરિવારજનોનના સંયુક્ત પ્રયાસોથી નવ લોકોને નવજીવન આપવામાં સફળતા મળી છે.












Click it and Unblock the Notifications
