ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિની હંમેશા શક્તિ સ્વરૂપે પૂજાય છે: રૂપાણી
ખેડામાં બિરાજમાન રાજેશ્વરી માં મેલડી માતાના 33 પાટોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અને તેમની પત્નીની હાજરી.
ખેડામાં બિરાજમાન ભગવતી શ્રી મેલડી માતાના ૩૩ પાટોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે અહીં માં મેલડી મઢ ખાતે પત્ની અંજલીબેન રૂપાણી સાથે માતાજીના શ્રધ્ધા અને ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા હતા. અને વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે યોજાયેલ શ્રી ઋગવેદ સ્વાહાકાર મહાયજ્ઞમાં શ્રીફળ હોમ્યું હતું.આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃત્તિમાં નારી શક્તિની હંમેશા શક્તિ સ્વરૂપે પૂજા અર્ચના થાય છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ પરંપરામાં ઇષ્ટ દેવતાઓમાં શક્તિ સ્વરૂપે નારીને સ્થાન મળ્યુ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમના પત્ની અંજલીબેન રૂપાણી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે માઇ ભક્તોના સંકલ્પ સાકાર કરતા ૩૦૦૦ જેટલા ગરબાઓનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મા દુર્ગા, મા સરસ્વતી, મા અંબા, મા ભગવતી, મા મેલડી, મા બહુચરાજી એ શક્તિના સ્વરૂપો છે. જેની ભક્તિભાવપૂર્વક નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિમાં આરાધના કરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ બીજાના સુખે સુખી અને બીજાના દુખે દુખી એ પ્રકારે માનવજીવનમાં દયા, કરૂણા અનેપ્રેમના ગુણો વિકસાવવાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે માનવજીવનનું સાચું સુખ જરૂરિયાતમંદોને મદદ કરવામાં છે. જે સુખનો આનંદ અલભ્ય હોય છે.મુખ્યમંત્રીશ્રીએ મા મેલડીના ઉપાસક એવા જયમાડી દ્વારા ચલાવતા સમાજસેવાના કર્યોને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રવર્તમાન સરકાર સંપૂર્ણ પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગિતશીલતાના આધારસ્તંભો પર કામ કરી રહી છે. વ્યક્તિથી સમિષ્ટની ચિંતા કરી સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી કેડીએ રાજ્યના વિકાસને વધુ ઉંચાઇઓ પર લઇ જવા સરકાર પ્રતિબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. પૂ.મહાત્મા ગાંધી અને સરદાર સાહેબનું ગુજરાત સદાચારી અને વ્યસનમુક્ત બને તે માટે આ સરકારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કર્યો છે. તેમ તેમણે જણાવ્યું હતું.