સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવેએ મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?
ગુજરાતી ગાયિકા કિંજલ દવે હાલ આંતરજ્ઞાતિય સગાઈને લઈને મોટા સામાજિક વિવાદમાં છે. પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેના પરિવારનો બહિષ્કાર કર્યો છે, જે ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાક્રમ બાદ કિંજલે મૌન તોડી બહિષ્કાર કરનારાઓ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે.

કિંજલ દવેએ અભિનેતા ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. 6 ડિસેમ્બરે થયેલી આ આંતરજ્ઞાતિય સગાઈને પગલે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
આ વિવાદે કાંકરેજના શિહોરી ખાતે સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાવ્યું. આ બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવાયો. કિંજલના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરાયા છે. તેમને સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવાનું નક્કી કરાયું છે.
સમાજે એ પણ સ્પષ્ટપણે જાહેરાત કરી કે, બહિષ્કૃત થયેલા વ્યક્તિઓને જો કોઈ સભ્ય આવકારશે તો તેમની સામે કડક સામાજિક પગલાં લેવામાં આવશે. આ સામાજિક બહિષ્કારના પડઘા બાદ કિંજલ દવેએ પોતાનું મૌન તોડ્યું અને પ્રબળતાથી પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
તેણે બહિષ્કાર કરનારા તત્વોને અસામાજિક તત્વો ગણાવ્યા, જે દીકરીઓની પ્રગતિ સહન કરી શકતા નથી. કિંજલે ભાવુકતાપૂર્વક કહ્યું કે, હું મૌન હતી, પણ હવે વાત મારા પરિવાર અને પિતા પર છે, મારાથી હવે સહન નથી થઈ રહ્યું.
ગાયિકાએ ભારપૂર્વક જણાવ્યું કે, તે બ્રહ્મ સમાજ સહિત તમામ લોકોના સહયોગ અને શુભેચ્છાઓથી જ અહીંયા સુધી પહોંચ્યા છે. તેણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમુક અસામાજિક તત્વો દીકરીઓ માટે નિયમો નક્કી કરે એ તો તેમની સ્વતંત્રતાની પાંખ કાપવા જેવું છે.
કિંજલે સવાલ કર્યો કે, દીકરીઓ અત્યારે તેજસ પ્લેન ઉડાવે છે અને ઓપરેશન સિંદૂર જેવી મહત્વની કામગીરીમાં સામેલ છે, ત્યારે શું તેમને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત હક નથી?
કિંજલ દવેએ વધુમાં જણાવ્યું કે, તેમનો પરિવાર અને ભાવિ જીવનસાથી ભક્તિમય તથા સંસ્કારી લોકો છે, અને તેમને પૂરા આદર તેમજ સત્કારથી સ્વીકારવામાં આવ્યા છે. અંતમાં તેમણે શિક્ષિત અને સમજદાર લોકોને વિનંતી કરી છે કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી સત્વરે દૂર કરે, જેથી સમાજની પ્રગતિ અટકે નહીં અને તેનું ભવિષ્ય સુરક્ષિત રહે.












Click it and Unblock the Notifications
