ઇશરત કેસ : હવે CBI મોહન ઝાની પૂછપરછ શરૂ કરશે
સૂત્રો દ્વારા પ્રાપત માહિતી અનુસાર એક મહત્વના સાક્ષીને પોતાનું નિવેદન બદલી કાઢવાના આરોપમાં ઝાની પૂછપરછ થઇ શકે છે. આ સાક્ષીને પોતાની વાત બદલવા મજબૂર કરવા માટે ઝા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
હાલ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસની તપાસના આખરી દોરમાં પહોંચેલી સીબીઆઈ ગુજરાત હાઈકોર્ટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સ્તર) રેકર્ડ કરેલા નિવેદનો ચકાસી રહ્યાં છે. આ કેસમાં સીબીઆઈ અધિકારીઓ સતિષ વર્માના એફિડેવિટના સંદર્ભમાં મોહન ઝાની પૂછપરછ કરનાર છે.
સતીશ વર્માએ આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ''આ કેસના મહત્ત્વના સાક્ષી અને પોલીસ કોન્સ્ટેબલ મોતી તળજા દેસાઈએ પોતાનું નિવેદન પાછળથી ફેરવી તોળ્યું તે માટે મોહન ઝા જવાબદાર છે.'' દેસાઈએ પોતાના પ્રારંભિક નિવેદનમાં એવું જણાવ્યું હતું કે ઈશરત અને અન્ય ત્રણનું વડોદરામાં વાસદથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને શહેરના સીમાડે આવેલા ખોડિયાર ફાર્મમાં નજર કેદ રાખવામાં આવ્યા હતા. જોકે મોતી તળજા દેસાઈએ પાછળથી પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું.