ગુજરાતમાં ભાજપને નર્વસ નાઈંટીઝમાંથી બહાર કાઢનાર કુંવરજી બાવળિયાની પ્રોફાઈલ
જસદણ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં જીત સાથે રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 100ની થઈ ગઈ છે.
જસદણ સીટ પર થયેલી પેટાચૂંટણીમાં જીત સાથે રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 100ની થઈ ગઈ છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સરકાર બનાવવા લાયક બહુમત તો મેળવી લીધો હતો પરંતુ તે નર્વસ નાઈંટીઝની શિકાર બની ગઈ હતી. જસદણ સીટ પર થયેલી પેટાચૂંટણીના રવિવારે પરિણામ આવ્યા. કુંવરજી બાવળિયાની જીત સાથે જ ભાજપે નર્વસ નાઈંટીઝમાંથી બહાર આવી સદી કરી દીધી. પહેલા યુપી પેટાચૂંટણીમાં એક પછી એક હાર અને ત્યારબાદ કોંગ્રેસના હાથે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની સત્તા ગુમાવ્યા બાદ ગુજરાતમાંથી ભાજપ માટે જીત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. ભાજપ માટે આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણકે જસદણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભાજપની ટિકિટ પર જીતેલા કુંવરજી બાવળિયા ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની જ ટિકિટ પર લડ્યા હતા અને જીત્યા હતા.
જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાએ આપ્યુ હતુ પદ પરથી રાજીનામુ
2017માં કુંવરજી બાવળિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ ગુજરાતમાં વિપક્ષ નેતાનું પદ ન મળવાથી નારાજ થઈને જુલાઈ 2018માં પહેલા કોંગ્રેસનું સભ્યપદ અને બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદ ભાજપે તેમને પક્ષમાં શામેલ કરવા સાથે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો. મંત્રી પદ જાળવી રાખવા માટે બાવળિયાને આ ચૂંટણી જીતવાની હતી. ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90 હજાર 268 મતો મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70 હજાર 283 મતો મળ્યા. આ રીતે કુંવરજી બાવળિયાએ 199985 મતોથી કોંગ્રેસ ઉમેદવારને મ્હાત આપી દીધી.
ત્રણ લોકસભા સીટો પર ખાસ અસર રાખે છે કુંવરજી બાવળિયા
કુંવરદી બાવળિયાની જસદણ વિધાનસભા સીટ પર આ છઠ્ઠી જીત છે. તે આ પહેલા પાંચ વાર આ સીટ પરથી ચૂંટી આવ્યા છે. તે કોંગ્રેસની ટિકિટ પર સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. તેમણે 1995, 1998, 2002, 2007 અને 2017 અને હવે 2018 જસદણ સીટ પર જીતનો ઝંડો લહેરાવ્યો છે. કુંવરજી બાવળિયાની ઉંમર 62 વર્ષ છે. તે ગ્રેજ્યુએટ છે અને 2017માં 39 વર્ષના ભાજપના ઉમેદવાર ભરત બોઘાને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા હતા. કુંવરજી બાવળિયા કોળી સમાજના મોટા નેતા માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે બાવળિયાનો ગુજરાતની ત્રણ લોકસભા સીટો પર ખાસ પ્રભાવ છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજ મોટી મતબેંક છે. એવામાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પણ નુકશાન ઉઠાવવુ પડી શકે છે.
પક્ષ છોડ્યા બાદ રાહુલ ગાંધીની નીતિઓની કરી હતી ટીકા
કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પાર્ટી છોડવા પાછળના કારણો વિશે પૂછવા પર કહ્યુ કે રાહુલ ગાંધી પાર્ટીની અંદર જાતિના આધારે રાજનીતિ કરી રહ્યા છે. બાવળિયાએ આગળ કહ્યુ, ‘મને અહેસાસ થયો કે રાહુલ ગાંધીની નીતિઓના કારણે પાર્ટીમાં મારુ કોઈ ભવિષ્ય નથી. આ કારણે મે પાર્ટી છોડી દીધી.' તેમણે કહ્યુ, ‘કોંગ્રેસમાં મને એ રીતે કામ કરવાનો મોકો નહોતો મળતો જે રીતે હું કામ કરવા ઈચ્છતો હતો.' કુંવરજી બાવળિયાની કોળી સમાજ પર ઘણી પકડ છે. આનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તે જ્યારે કોંગ્રેસમાં હતા અને 2017ની વિધાનસભા ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપની હાલત સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ખરાબ થઈ હતી. સૌરાષ્ટ્રમાં કોળી સમાજની લગભગ 20 વિધાનસભા સીટો અને ત્રણ લોકસભા સીટો પર ખાસ્સો પ્રભાવ છે.
1960થી 2018 સુધી જસદણ સીટ પર માત્ર બે વાર જીત્યુ ભાજપ, બંને વાર બાવળિયા જ રહ્યા મોટુ ફેક્ટર
1960માં ગુજરાત રાજ્ય બન્યા બાદથી ભાજપ જસદણ સીટ પર 2018 ચૂંટણી પહેલા માત્ર એક વાર જ જીતી શકી. આ પાછળ પણ કારણ કુંવરજી બાવળિયા હતા. 2009માં તેમણે રાજકોટમાંથી લોકસભા ચૂંટણી લડી હતી. આ કારણે જસદણમાં ભાજપને 2009માં જીત નસીબ થઈ હતી અને હવે 2018માં બાવળિયાએ ભાજપ માટે આ સીટ જીતી છે. આ રીતે 1960 બાદથી હવે માત્ર બે વાર જસદણમાં ભાજપને જીત મળી છે.
આ પણ વાંચોઃ જસદણની જીત ભાજપ કરતાં બાવળિયાની વધુ, કોંગ્રેસે પણ આપી અણધારી ટક્કર