કરણી સેના: પદ્માવતી પર પ્રતિબંધ કરો નહીં તો વોટ નહીં મળે
કરણી સેનાએ વડોદરામાં પ્રેસ કોન્ફર્ન્સ કરીને પદ્માવતી ફિલ્મને દેશભરમાં પ્રતિબંધિત કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે ભાજપને વોટ ન આપવાની ચિમકી પણ ઉચ્ચારી છે. વધુ વાંચો અહીં.
ફિલ્મ પદ્માવતી પર વિવાદ શાંત થવાનું નામ જ નથી લેતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે જ્યાં બીજા તબક્કાના મતદાનને હવે જ્યાં એક દિવસ જ બાકી છે ત્યારે વડોદરામાં કરણી સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં કરણી સેનાના મહિપાલસિંહ મકરાણાનું કહ્યું છે કે દેશમાં પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ લગાવો નહીં તો અમે વોટ નહીં આપીએ. ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે કરણી સેનાએ ભાજપ સરકારને 24 કલાકનો સમય આપ્યો છે. અને અલ્ટિમેટમ આપ્યું છે કે જો ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ નહીં લાગે તો 14મી તારીખે વોટથી વિરોધ કરીશું. સાથે જ સરકારના વિરોધમાં મત આપવાની ચિમકી પણ રાજપૂત સમાજ કરી છે.
ઉલ્લેખનીય છે કે પદ્માવતીની રિલિઝ પર ગુજરાતમાં પહેલાથી જ રૂપાણી સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. અને સાથે તે પ્રતિબંધ લગાવતી વખતે રૂપાણીએ આ ફિલ્મમાં યોગ્ય તથ્યો નથી બતાવ્યા તેવો દાવો પણ કર્યો છે. તે પછી ચૂંટણી પહેલા હવે કરણી સેના અને રાજપૂત સમાજે આ ફિલ્મને દેશભરમાં પ્રતિબંધિત કરવાની માંગણી કરી છે. નોંધનીય છે કે સુપ્રિમ કોર્ટમાં પણ આ અંગે સુનવણી કરવાની માંગ ઉઠી હતી. તો બીજી તરફ ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ પહેલા આ ફિલ્મ રિલિઝ કરવાની વાત પણ કરી હતી.