શું ગુજરાતમાં કોંગ્રેસ તોડવા માંગે છે અરવિંદ કેજરીવાલ? અમરીશ ડેરને કર્યો હતો ફોન
શું ગુજરાતમાં કોંગ્રેસ તોડવા માંગે છે અરવિંદ કેજરીવાલ? અમરીશ ડેરને કર્યો હતો ફોન
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવતાની સાથે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયા અરવિંદ કેજરીવાલે રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કર્યો હતો. જે બાદથી તેમણે અમરીશ ડેરને આપમાં જોડાવવા માટે આમંત્રિત કરવા ફોન કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ 14 જૂને અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. તે વખતે અમરીશ ડેર અને કેજરીવાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. અરવિંદ કેજરીવાલે પોતાના મત વિસ્તારમાં લોકોનો અવાજ ઉઠાવવાને લઈ અમરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં સામેલ થવા આમંત્રિત કર્યા હતા.
કેજરીવાલના ફોન કોલ વિશે વાત કરતા અમરીશ ડેરે કહ્યું કે, 'કેજરીવાલે મારા આંદોલન વિશે વાત કરી. આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની કોઈ વાત નથી થઈ.' આની સાથે જ અમરીશ ડેરે આપમાં સામેલ થવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો.
ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક દિવસોથી કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર રેલવે દ્વારા ખાલી પડેલી જમીન પર ફેન્સિંગ મુદ્દાને લઈ આંદોલન કરી રહ્યા છે. મંગળવારે શંકર સિંહ વાઘેલા આ મામલે સામે આવ્યા અને રેલવે મંત્રી પીયૂષ ગોયલને ટેગ કરી ટ્વીટ કરતા લખ્યું કે, પિયૂષ ગોયલે હસ્તક્ષેપ કરી આ મામલો અંત લાવવો જોઈએ અને વિસ્તારની યોગ્ય માંગ પૂરી કરવી જોઈએ એવી મારી અપીલ છે.
નોંધનીય છે કે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ અમરીશ ડેરને આમ આદમી પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપી ચૂક્યા છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, જો કેજરીવાલે ન કહ્યું તો કંઈ નહિ પણ હું કહું છું કે આમ આદમી પાર્ટીમાં અમરીશ ડેરનું સ્વાગત છે. હવે જોવાનું રહ્યું કે શું વિધાનસભા ચૂંટણી પહેલાં અમરીશ ડેર પણ કોંગ્રેસનો સાથ છોડી દેશે?