કેશુભાઇ પટેલ આરએસએસના આંગણે પહોંચતા અનેક તર્ક-વિતર્ક
કેશુભાઇ ચૂંટણી ટાણે જ આરએસએસ અને વીએચપી કાર્યાલયની મુલાકાતે પહોંચતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. જો કે, તેઓ સંઘ પ્રચારક ભાસ્કર રાવ દામલે બિમાર હોવાના કારણે તેમના ખબર-અંતર પૂછવા માટે આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ તકે તેમની સાથે ગોરધન ઝડફીય પણ હતા. સૂત્રોની માહિતી અનુસાર કેશુભાઇ પટેલે વીએચપી કાર્યાલયે મોદી સરકારની હિન્દુ વિરોધી નીતિની આકરી ટીકા કરી ચૂંટણીમાં મદદ કરવા અપીલ કરી છે.
વીએચપી કાર્યાલય ખાતે હોદ્દેદારો સાથે વાતચીત કરતા કેશુભાઇએ મોદી સરકારમાં તોડી પડાતા મંદિરો, ગૌહત્યા અને સાઘુ સંતોની હત્યા સહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આ સરકારમાં આપણને ક્યાંય પણ આપણી સરકાર જેવી લાગણીનો અનુભવ થતો નથી.
અત્રે એ વાત નોંધનીય છે કે થોડાક દિવસો પહેલાં જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર ખાતે આરએસએસ વડા મોહન ભાગવત સાથે બેઠક કરી હતી, ત્યારે કેશુભાઇ પટેલે એવું નિવેદન કર્યું હતું કે મોદી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સંઘ પાસે પહોંચી જાય છે, ત્યારે મંગળવારે કેશુભાઇ પટેલ દ્વારા અચાનક સંઘ અને વીએચપી કાર્યાલયની મુલાકાત પાછળનો તર્ક શું? એ પ્રશ્ન ઉઠવા પામ્યો છે.