કેશુભાઇએ પટેલ વર્ચસ્વવાળી બેઠકો પર નજર ઠેરવી

ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે, પરંતુ પાર્ટીનું મુખ્ય ફોક્સ સૌરાષ્ટ્રની 10 અને સુરતની 3 મળીને કુલ 13 બેઠકો ઉપર છે.
રસપ્રદ બાબત એ છે કે, જીપીપીની આ તમામ 'એ' ગ્રેડની યાને ચૂંટણી જીતવાની આશા ધરાવતી બેઠકો મોટેભાગે લેઉઆ પટેલોના વર્ચસ્વવાળી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ નવી સરકાર બનાવવાની કવાયતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકા ભજવવાનો ઈરાદો ધરાવી રહી છે.
જીપીપીએ સૌરાષ્ટ્રની વિસાવદર, ધારી, લાઠી-બાબરા, સાવરકુંડલા, મોરબી, ગોંડલ, રાજકોટ નં-4 ગ્રામીણ, બોટાદ, ગારિયાધાર અને પાલિતાણા તથા સુરતની કતારગામ, વરાછા રોડ અને કામરેજનો સમાવેશ થાય છે.
આ તમામ બેઠકોની ચૂંટણી પ્રથમ રાઉન્ડમાં યોજાવાની છે.
પરિવર્તન પાર્ટીના સૂત્રધાર કેશુભાઈ તેમના વતન વિસાવદરથી ચૂંટણી લડવાના છે. જ્યારે મહામંત્રી ગોરધન ઝડફિયા વતન ભાવનગર જિલ્લો છોડીને આ વખતે લેઉઆ સમાજની સૌથી સલામત ગણાતી સીટ ગોંડલથી નસીબ અજમાવવાના છે. ઝડફિયા છેલ્લે 2009માં લોકસભાની ચૂંટમી ભાવનગરથી લડયા ત્યારે એમને ખાસ્સા 1 લાખ 56 હજાર મતો મળ્યા હતા.
પરિવર્તન પાર્ટીના આ બે દિગ્ગજો સિવાય બીજાં કોઈ મોટા નેતા ચૂંટણી લડવાના નથી. પાર્ટીના સૂત્રો કહે છે કે, સોમવાર 19 નવેમ્બર, 2012ની સાંજ સુધીમાં પ્રથમ તબક્કા માટે પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જશે, અલબત્ત, પાર્ટી 22મી- 23મીએ કોંગ્રેસ-ભાજપ સાથે જ તેના ઉમેદવારો જાહેર કરશે.












Click it and Unblock the Notifications
