ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં 'ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ (કોમન એક્ટ) રજૂ કરવામાં આવશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, NEP -૨૦૨૦ હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના સુચારુ અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ની જરૂરીયાતોના સંદર્ભે એકસરખા માળખા પર અને કાર્યપદ્ધતિ પર આધારીત હોય તેવી પ્રણાલીગત તમામ યુનિવર્સિટીઓ માટે એક સમાન કાયદો બનાવીને અમલ કરવાનું સરળ, યોગ્ય, વ્યવહારૂ અને કાયદાકીય રીતે પણ વાજબી અને ન્યાયપૂર્ણ છે. જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે.
હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક,આંધ્રપ્રદેશ રાજયોમાં યુનિવર્સિટી કોમન એકટ બનાવવામાં આવ્યો છે તેમ,મંત્રી ઋષિકેશ પટેલ એ કહ્યું છે. મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં 'ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ (કોમન એક્ટ) રજૂ કરવામાં આવશે.
મંત્રી પટેલે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ ડ્રાફ્ટ બીલની વિશેષ જોગવાઈઓ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનમાં વર્ષો બાદ તૈયાર કરાયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ના અમલીકરણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવવામાં આવે છે. જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશ્યો, સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો, ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધિશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલ છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે.યુનિવર્સિટીનું સંચાલન સુચારૂ રૂપે થાય તે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી તે જ યુનિવર્સિટીઓનો જ આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે.
રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, જરૂરીયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ/બોર્ડ/સમિતિ/કાઉન્સિલની જોગવાઈઓ ઉપરાંત અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ/કમિટીઓ પણ ઉમેરવામાં આવી છે. આ એકટના અમલથી સંશોધન- સઘન અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
વધુમાં યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
