Lok Sabha Election : બીજેપી અનામત ખતમ કરવા માંગે છે, રાહુલ ગાંધીનો મોટો આરોપ
લોકસભા ચૂંટણીમાં અનામતનો મુદ્દો ગરમાયો છે. એક તરફ બીજેપીને અનામત માટે ખુલાસા કરવા પડી રહ્યા છે તો હવે રાહુલ ગાંધીએ બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ બંધારણ બદલવાનો આરોપ લગાવીને અનામત નાબૂદ કરવા માટે ભાજપ પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખરગોનમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીનું અંતિમ ધ્યેય વંચિતોની અનામત છીનવીને તેને ઘટાડીને 0% કરવાનું છે, પરંતુ અમે 50% અનામતની મર્યાદા તોડીને દેશમાં સામાજિક ન્યાય બતાવીશું, આ કોંગ્રેસની ગેરંટી છે. નરેન્દ્ર મોદી તમારૂ અનામત ખતમ કરવા માંગે છે.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપની સરકાર બનતાની સાથે જ તેઓ દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓ પાસેથી અનામત છીનવી લેશે. જ્યારે ભાજપ અનામત છીનવી લેવાની વાત કરી રહી છે ત્યારે અમે અનામતની 50% મર્યાદા હટાવીશું અને તેને વધારીશું.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. આમાં કોંગ્રેસ બંધારણનું રક્ષણ કરી રહી છે, જ્યારે ભાજપ બંધારણને ખતમ કરવા માંગે છે, પરંતુ અમે દરેક કિંમતે બંધારણની રક્ષા કરતા રહીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મીડિયા કહે છે કે મનરેગા લોકોની આદતો બગાડે છે. પરંતુ જ્યારે અબજોપતિઓની લોન માફ કરવામાં આવે તો તેને વિકાસ કહેવાય, પરંતુ અમારી સરકાર આવતાં જ અમે મનરેગા મજૂરોને દૈનિક વેતનમાં 400 રૂપિયાનો વધારો કરીશું.












Click it and Unblock the Notifications
