ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઇ
તાજેતરમાં સરકારે વિધાનસભા ચૂંટણીમાં તેમજ ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યા પ્રમાણે 50 લાખ મકાનો નબળા વર્ગના લોકો માટે જે આયોજન કર્યું છે તેનો પણ પ્રજા સમક્ષ પ્રચાર કરવાની વાત જણાવવામાં આવી હતી. આ સાથે ગેરકાયદેસર બાંધકામનો કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે સ્કીમ અમલી બનાવાઈ છે તેની પૂરેપૂરી સમજણ આ પ્રમુખોને અપાઈ છે જેથી તેઓ તેમના વિસ્તારના રહીશોને તેની પૂરતી સમજણ આપી આ યોજનાનો મહત્તમ લાભ અપાવવા પ્રયત્ન કરાશે એમ જનતા સમક્ષ મૂકવાની પણ વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત નર્મદા બંધના દરવાજા જે હજુ બંધ છે અને ખાસ કરીને નર્મદા બંધ માટેની પણ એક ચર્ચા આજની બેઠકમાં આવરી લેવામાં આવી છે. ઉપરાંત સંગઠન કક્ષાએ કેટલાક બાકી રહી ગયેલા કાર્યોની ચર્ચા કરવામાં આવી છે જેમાં મોટાભાગે ચૂંટણીલક્ષી એજન્ડા હાથ ધરાયો છે. આવનારી 2014ની લોકસભા ચૂંટણીમાં કમરકસીને કામ કરવા તમામ જિલ્લા પ્રમુખોને હાકલ કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખનો તાજ ફરી એકવાર આર.સી.ફળદુને પહેરાવવામા આવ્યા બાદ હવે ટૂંક સમયમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ફળદુની ટીમની જાહેરાત કરવામાં આવશે. ફળદુની ટીમમાં ક્યા સિનિયર આગેવાનોને લેવા તે અંગેની ચર્ચા આ પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવશે તો સાથે સાથે રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહની ટીમમાં સ્થાન પામેલા અમિત શાહને ક્યા રાજ્યના પ્રભારી બનાવવામાં આવશે તે અંગેની ચર્ચા-વિચારણા થઈ હતી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત સિનિયર આગેવાનો અમિત શાહને મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવે તેમ ઈચ્છી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન ગડકરી સામે પ્રભારી તરીકે જો અમિત શાહને મૂકવામાં આવે તો ગડકરીને ‘કટ ટુ સાઈઝ' કરી શકાય. અમિત શાહને વર્ષ 2014ની ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવે તેવી શક્યતા છે. પાર્લામેન્ટરી બોર્ડમાં રાષ્ટ્રીય કારોબારીની સમાવિષ્ટ અમિત શાહની લોકસભા ચૂંટણી અંગે જવાબદારી તેમજ તેમની પ્રભારી અંગેની રજૂઆત રાજનાથસિંહને કેવી રીતે ક્યા મુદ્દા સાથે કરવી તે પણ ચર્ચા કરવામાં આવી હતી.