કચ્છને શાંઘાઈ બનાવવાની વાત એ કચ્છનું અપમાન : શક્તિસિંહ ગોહિલ

ગોહિલે જણાવ્યું કે "કચ્છનું ખમીર અને કચ્છની માનવતાની મહેંક એ કચ્છની સંસ્કૃતિ છે. કચ્છના લોકોની ભાતીગળ સંસ્કૃતિના કારણે જ હંમેશા કહેવાય છે કે, "કચ્છડો તો બારેમાસ.'' કચ્છને શાંઘાઈ બનાવવાની વાતો કરવાને બદલે કચ્છને કચ્છ જ રહેવા દઈને જે કચ્છના હિસ્સાનું મળવાપાત્ર છે તે સરકારે આપવું જોઈએ. છેલ્લા ૧૨ વર્ષના શાસનમાં કચ્છને સૌથી મોટો અન્યાય કરવામાં આવ્યો છે અને કચ્છની મહામૂલી કુદરતી સંપતિઓને મુખ્યમંત્રીના માનીતાઓ માટે લૂંટાવી દેવામાં આવી છે."
તેમણે કહ્યું કે "નર્મદા યોજનાના નીર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પહોંચે તે સૌથી મોટી પ્રાથમિકતા હતી. ભૂતકાળમાં સુપ્રિમ કોર્ટમાં પણ સરકારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોની હાડમારીને વ્યવસ્થિત રીતે રજૂ કરી ત્યારે જ સુપ્રિમ કોર્ટમાંથી નર્મદા યોજનાનો વિરોધ કરતા લોકોની પીટીશનને રદ્દ કરવામાં આવી હતી."
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ કાચબાની ઢાલ જેવી છે અને માટે મધ્યમાંથી કેનાલ કાઢી હોત તો ગ્રેવીટીથી કચ્છના તમામ વિસ્તારમાં પાણી પહોંચાડી શકાય. પરંતુ પ્રવર્તમાન સરકારે માનીતા ઉઘોગપતિઓના લાભાર્થે નર્મદા યોજનાની કેનાલ કચ્છમાં દરિયાના કાંઠા પર માત્ર થોડા જ કિ.મી.ની બનાવી છે અને તેથી મહદ્ કચ્છ એ નર્મદાના નીરનો લાભ મેળવી શકેલ નથી. કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે તો નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને અગ્રીમતાથી આપવામાં આવશે."












Click it and Unblock the Notifications
