‘મોદી જવાબ આપે, જીઓ ગ્લોબલ, જીન પોલ રોય કોણ છે?'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરા ખાતે પત્રકાર પરિષદ સંબોધનાર કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતુ કે, જાન્યુઆરી ૨૦૦૪માં તત્કાલિક વડાપ્રધાન અટલબિહારી બાજપેઇએ ભારત પાકિસ્તાનના કમ્પોનન્ટ ડાયલોગમાં સિરક્રિકનો વિષય દાખલ કર્યો હતો અને ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેમ ચૂપ રહ્યા હતા ? આઠ આઠ વર્ષ સુધી શું મોદી કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હતા અને આઠ વર્ષમાં તેમણે કેટલી વખત આ મુદ્દો ઉઠાવ્યો ?
નરેન્દ્ર મોદીએ તા.૧૫ ડીસેમ્બરે દેશની સુરક્ષાનો સોદો થઇ જશે તેવી હાસ્યાસ્પદ વાત કરી હતી અને આજે આ તારીખ પૂરી થઇ ગઇ છે અને સિરક્રિક આજે પણ ભારત પાસે જ છે તેવી માહિતી રજુ કરતા તેમણે જણાવ્યું હતું કે,પોતાની રાજકિય રોટલી સેકવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાને મોદી રાજકિય શુળીએ ચડાવી રહ્યા છે.
જો ગુજરાતમાં વિકાસ થયો હોય તો દરેક વ્યક્તિ ઉપર ૨૨,૨૨૪ રૂ.નુ દેવુ કેમ ? આવા દશ સવાલ પ્રજા મોદીને પૂછે અને મોદી તેના જવાબ આપે તેવી ટીપ્પણી કરતા તેમણે જણાવ્યું હતુ કે તથ્યવિહોણા અને મનઘડત વાતો ઉઠાવીને મોદી રાજકિય ફુટબોલ રમી રહ્યા છે.